એક્સ મેનેજર દિશાની આત્મહત્યા બાદ સુશાંતે કહ્યું હતુંઃ ‘હવે આ લોકો મને પણ નહીં છોડે...’

Wednesday 05th August 2020 06:26 EDT
 
 

મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ રોજ નવા નવા નિવેદનો અને આક્ષેપ - પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. સુશાંતસિંહના પિતા કે. કે. સિંહે સુશાંતની પૂર્વ પ્રેમિકા રિયા ચક્રવર્તી સામે સુશાંત સાથે આર્થિક ગેરરીતિ આચરવાથી માંડીને તેને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપવા માટે પ્રેર્યાની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તો મામલો અનેક મોરચે ગૂંચવાયો છે. કે. કે. સિંહે આ ફરિયાદ પટણામાં નોંધાવી હોવાથી બિહાર પોલીસે પણ તપાસ શરૂ કરતાં મહારાષ્ટ્ર પોલીસે વાંધો ઉઠાવ્યો છે. આની સામે બિહાર પોલીસે કેસના તથ્ય સુધી પહોંચવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સુશાંતસિંહની બહેને વડા પ્રધાનને પત્ર પાઠવીને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગ કરી છે.
દરમિયાન બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું છે કે, જો સુશાંતનાં પિતા કહેશે તો રાજ્ય સરકાર સીબીઆઈ તપાસ અંગેની ભલામણ જરૂરથી કરશે. તેમણે કહ્યું કે, મુંબઈ પોલીસે બિહાર પોલીસને આ કેસની તપાસમાં મદદરૂપ થવું જોઈએ. નીતીશકુમારે જણાવ્યું કે, આ કેસમાં બે રાજ્ય વચ્ચેનાં ઝઘડાનો કોઈ પ્રશ્ન નથી. સુશાંતસિંહ રાજપૂતનાં પિતાએ બિહારમાં કેસ દાખલ કર્યો છે, પોલીસ તેનું કામ કરી રહી છે તેમાં અમારો કોઈ રોલ નથી.

‘પેઈનલેસ ડેથ અંગે સર્ચ કર્યું હતું’

મુંબઈ પોલીસ કમિશનલ પરમવીરસિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સુશાંત કેસમાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મોત પહેલાં સુશાંતે પેઇનલેસ ડેથ એટલે કે ‘પીડારહિત મૃત્યુ’ અંગે ગૂગલ પર સર્ચ કર્યું હતું. પરમવીરસિંહે એવું જણાવ્યું હતું કે સુશાંતસિંહ આપઘાત કેસની તપાસનો બિહાર પોલીસને કોઈ હક નથી. અમે આ કેસમાં વિસ્તૃત તપાસ કરી રહ્યા છીએ. અમારી તપાસ સંપૂર્ણપણે પ્રોફેશનલ છે. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં રિયા સહિત ૫૬ લોકોની જુબાની લીધી છે. અમે બિહાર પોલીસની તપાસ પર કાનૂની સલાહ મેળવી રહ્યા છે. અમે સુશાંતની બહેનને પણ પૂછપરછ માટે બોલાવી હતી, પરંતુ તે આવી નહોતી. અમે ૧૩ અને ૧૪ જૂનના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. મુંબઈ પોલીસ કમિશનરે એવું પણ જણાવ્યું કે ૧૩ જૂનની રાતે સુશાંતના ઘેર કોઈ પાર્ટી થઈ નહોતી. તેમણે કહ્યું કે સુશાંતના પરિવાર તેમના પહેલા નિવેદનમાં કોઇની પર શક કર્યો નહોતો. તેમજ રિયાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હોવાના પણ કોઈ પુરાવા મળ્યા નથી.

મોતનું કારણ ગળેફાંસોઃ મેડિકલ રિપોર્ટ

મુંબઈ પોલીસને ૨૭ જુલાઇએ સુશાંતનો વિસેરા રિપોર્ટ મળ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના ફાઉલ પ્લે (હત્યા)નો ઇનકાર કરવામાં આવ્યો છે. કોઈનું મોત ઝેરથી થયું છે કે નહીં તેની તપાસ માટે મૃતકના પેટની અંદરથી સેમ્પલ લેવામાં આવે છે તેને વિસેરા કહેવાય છે. વિસેરા રિપોર્ટમાં કહેવાયું છે કે સુશાંતનું મૃત્યુ ફાંસી લગાવવાને કારણે શ્વાસ રૂંધાવાથી થયું છે. એટલે કે આ કેસ આપઘાતનો જ છે. પોલીસને હવે સુશાંતના નખના સેમ્પલની ફોરેન્સિક તપાસ રિપોર્ટની પ્રતીક્ષા છે. પોલીસ સુશાંતના નખના સેમ્પલની ફોરેન્સિક તપાસ દ્વારા પણ સત્ય જાણવા માગે છે.

તપાસના કેન્દ્રમાં હવે રિયા ચક્રવર્તી

સુશાંતસિંહના મૃત્યુ બાદ હવે અદાલતથી માંડીને રાજકારણ સુધીના અનેક રંગ આ કેસમાં ભળી રહ્યા છે, ત્યારે હવે પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખૂલી રહ્યા છે. તપાસના કેન્દ્રમાં હવે સુશાંતસિંહની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી આવી ગઈ છે. સુશાંતના પરિવાર તેની ઉપર કરોડો રૂપિયા ઉપાડી લીધાનો આરોપ કરી રહ્યા છે, તો બીજી તરફ રિયા ચક્રવર્તી બિહાર પોલીસ પાસેથી તપાસ મુંબઇ પોલીસને સોંપી દેવા માટે અદાલતમાં ગઈ છે, ત્યારે સુશાંતસિંહના બેન્ક ખાતામાંથી રિયાએ કયાં કયાં ખર્ચ કર્યો તેની વિગતો બહાર આવી છે. એ ઉપરાંત અનેક બાબતો ધીરે ધીરે પ્રકાશમાં આવવા લાગી છે અને બીજા અનેક રહસ્યો પણ તપાસ દરમિયાન ખૂલતા જશે. સુશાંતની મોત બાદ વિવિધ થિયરી સામે આવી રહી છે પણ સુશાંતના પરિવાર દ્વારા કરોડો રૂપિયા લઈ લેવાની વાત સામે આવ્યા બાદ તપાસની દિશા બદલાઈ ગઈ છે.

શું પૈસાનો ઉપયોગ જાદુટોણાં માટે થયો?

સુશાંતના કોટક મહિન્દ્રા બેન્કનાં ખાતાંની વિગતો બહાર આવી છે. તેમાં જણાવાયું છે કે, ૧૪ જુલાઈ ૨૦૧૯ પહેલાં સુશાંતના ખાતામાં ૪.૬૪ કરોડ રૂપિયા બેલેન્સ હતું. ત્યારબાદ ૯૦ દિવસમાં તેના ખાતામાંથી ૩.૨૪ કરોડનો ખર્ચ થયો છે. દરમિયાન પૂજા અને વિધિના નામે ૨.૫૦ લાખનો ખર્ચ કરાયો હોવાનું પણ બેન્ક સ્ટેટમેન્ટમાં છે. સુશાંતના પરિવારનો આરોપ છે કે રિયાએ જાદુટોણાં તથા પૂજાપાઠને બહાને સુશાંતના કોટક મહિન્દ્રા બેન્કનાં ખાતાંમાંથી પાંચ વાર લગભગ ૨.૫૦ લાખ રૂપિયા ઉપાડયા હતા.
મહત્ત્વની વાત એ છે કે, ૧૪ જુલાઈએ ખાતામાંથી પૂજાના નામે પૈસા ઉપાડવાનું શરૂ કરાયું હતું અને ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતું. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૧૯થી પૂજા કે કાળા જાદુને નામે પૈસા ઉપાડવાનું બંધ કરી દેવાયું હતું. સ્ટેટમેન્ટ પરથી સ્પષ્ટ થયું છે કે રિયાના મેડિકલ ખર્ચાઓથી માંડીને ખાવા સુધીનું બિલ સુશાંત જ ભરતો હતો. સુશાંતની બહેનનો પણ આરોપ છે
કે રિયા અવારનવાર એક તાંત્રિકને લઈને સુશાંતના ફ્લેટ પર આવતી હતી.
સુશાંતના બેન્ક સ્ટેટમેન્ટને ટાંકીને દાવો કરાયો છે કે રિયા ચક્રવર્તીએ હોટેલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગથી માંડીને મેકઅપ અને શોપિંગમાં સુશાંતના પૈસા ખર્ચ કર્યા હતા. હેવાલ મુજબ રિયાએ સુશાંતના એકાઉન્ટમાંથી ૮૧,૦૦૦ રૂપિયા ઉપાડયા હતા અને તેમાંથી ઓક્ટોબર ૨૦૧૯માં રિયા અને તેના ભાઈ માટે પ્લેનની ટિકિટ ખરીદાઈ હતી.

રિયાએ સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપ્યો

એફઆઈઆરમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, રિયાએ સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપ્યો હતો. કે. કે. સિંહે જણાવ્યું હતું કે, રિયા હંમેશા સુશાંતને કહેતી હતી કે, તે વિચિત્ર વાતો કરે છે, તેના મગજમાં કંઈક પ્રોબ્લેમ છે. આ રીતે તેણે સુશાંતને માનસિક બીમાર હોવાનું ઠસાવી દીધું. ત્યારબાદ તેની મુંબઈમાં જ સારવાર શરૂ કરી. તે સુશાંતને પોતાના ઘરે લઈ ગઈ જ્યાં તેણે સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપી દીધો. અમને જણાવ્યું કે, સુશાંતને ડેંગ્યુ થયો છે જે સાવ ખોટી વાત હતી. ધીમે ધીમે તેણે સુશાંતનો અમારી સાથેનો સંપર્ક તોડાવી કાઢયો અને તેને મુંબઈથી પટના પરત ન આવવા દીધો. બીજી તરફ એવો પણ આરોપ છે કે, પહેલાં તો તેમણે ભૂત-પ્રેતની વાતો કરીને સુશાંતનું જૂનું ઘર છોડાવ્યું. તેને એક રિસોર્ટમાં રહેવા મોકલી દીધો.

સુશાંતને એન્ગ્ઝાઈટી એટેક આવવા લાગ્યા હતા

સુશાંત કેસમાં ઘણા લોકો તેની એક્સ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાને પણ જોડે છે. સુશાંતની નજીકની ફેમિલી ફ્રેન્ડ સ્મિતા પારિખ જણાવી રહી છે કે, દિશાની આત્મહત્યા બાદ સુશાંતને એન્ગ્ઝાઈટી એટેક આવવા લાગ્યા હતા. દિશાની મોત બાદ સુશાંત ખૂબ ડિસ્ટર્બ રહેતો હતો, જે વાત સ્મિતાને સુશાંતની બહેન મીતૂસિંહે કરી હતી. સ્મિતા તે વખતે સુશાંતની સાથે રહેતી હતી અને ત્યારે સુશાંત વારંવાર કહેતો હતો કે હવે ‘આ લોકો મને પણ નહીં છોડે.’
સુશાંત ૧૪ જૂન રવિવારનાં રોજ બપોરે તેની બહેન સાથે ફેમિલી ટાઇમ વીતાવવાનો હતો અને ૧૩ જૂનની રાતે તેની બહેન સુશાંતને સતત ફોન કરી રહી હતી, પણ સુશાંતે ફોન ઉઠાવ્યો નહતો. ત્યારબાદ સવારે મીતુએ સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને કે ફોન કરીને પૂછયું કે સુશાંત ક્યાં છે, તે ફોન કેમ નથી ઉઠાવતો? ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે, સુશાંત જ્યૂસ પીને તેનાં રૂમમાં સુવા જતો રહ્યો છે.

તેમને કદી ડોક્ટર પાસે જતાં જોયા નથીઃ સુશાંતનો કૂક

સુશાંતનાં કૂકે ખુલાસો કરતા કહ્યું છે કે, ‘તેઓ મોટા ભાગનો સમય ફિટનેસ ટ્રેઈનર સાથે વિતાવતા હતા અને ખૂબ મહેનત કરતા હતા. સુશાંતને ક્યારેય ડોક્ટર પાસે જતા કે કોઈ દવા લેતા મેં ક્યારેય જોયા નથી. રિયાએ મને નોકરીમાંથી પણ કાઢી મૂક્યો હતો, હું જ્યારે સપ્ટેમ્બરમાં મારા ઘરે ગયો હતો ત્યારે રિયાએ મને મારા કામથી કાઢી મૂક્યો હતો.’ વધુમાં તેણે જણાવ્યું કે, ‘સુશાંત યુરોપની ટ્રીપ બાદ ખૂબ બીમાર રહેતા હતા અને તેવી બીમારી મેં તેનામાં ક્યારેય જોઈ નથી. મને કહેવાયું હતું કે સુશાંતને ડેન્ગ્યૂ થયો છે પણ પછી મને ખબર પડી કે તેઓ ડિપ્રેશનનો શિકાર હતા. ગયા વર્ષે એપ્રિલમાં સુશાંતના બહેન અને તેમનાં પતિ દિલ્હીથી મુંબઈ રહેવા આવ્યા હતા, ત્યારે તેઓ સુશાંત સાથે એક મહિના જેટલું રોકાયા હતા.’

સુશાંત ડિપ્રેસ્ડ હોઇ જ ન શકેઃ અંકિતા લોખંડે

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પહેલીવાર કોઈ નિવેદન આપ્યું છે. અંકિતાએ એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે, ‘સુશાંત માટે પૈસા કરતા તેનું પેશન ખૂબ મહત્ત્વનું હતું. તેની ક્રિયેટિવિટી અને ફિલ્મો માટેનું તેનું પેશન તેના માટે એક જુનૂન સમાન હતું. તે માનતો હતો કે જો બધું ખતમ થઈ જશે તો ફરી એક વાર પોતાનું એમ્પાયર ઊભું કરી લઈશું. તે દરેક કામ પૂરી નિષ્ઠાથી કરતો હતો. તે ડાન્સ પણ ઉત્સાહથી કરતો હતો. શામક દાવરનાં ગ્રૂપમાં તે બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. ત્યાંથી તેની જે ફિલ્મી સફર શરૂ થઈ તે દિલ બેચારા ફિલ્મ પર જઈને અટકી છે.’
વધુમાં અંકિતાએ કહ્યું કે, ‘સુશાંત હંમેશાં મને એક વાત કહેતો કે સક્સેસ અને ફેલ્યર્સની વચ્ચે એક લાઇન હોય છે, જેને મહેન્દ્રસિંહ ધોની ફોલો કરે છે. તેઓ જ્યારે કંઈ વધારે ખરાબ કે સારું થાય ત્યારે પણ સ્થિર રહે છે. હું તેમનાં જેવો થવા માંગુ છું. તેમનાં પર ક્યારેય સક્સેસ કે ડાઉનફોલની કોઈ અસર જોવા નથી મળી. સુશાંત માનતો હતો કે સુખ પળભરનું હોય છે, એટલે તે નાની-નાની વસ્તુઓમાં ખુશી શોધતો હતો. તેને બાળકોને ભણાવવામાં ખુશી મળતી હતી. આકાશમાં તારાઓને જોયા કરવામાં તેને એક સંતોષ મળતો હતો. તેણે ઘણા બાળકોને ભણાવ્યા છે. આ તેનું પેશન હતું અને માટે જ તે ક્યારેય મરી ના શકે. સુશાંત માટે ડિપ્રેશન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે જે તદ્દન ખોટું છે. સુશાંત ડિપ્રેસ્ડ હોઈ જ ના શકે.’

...અને સુશાંત-રિયા પ્રેમમાં પડયાં

સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઈન્ડીયન આર્મી ઓફિસર ઈન્દ્રજિત ચક્રવર્તીની પુત્રી છે. રિયા ચક્રવર્તી અને સુશાંતસિંહ વચ્ચે પહેલી વહેલી મુલાકાત વર્ષ ૨૦૧૩માં થઈ હતી. તે સમયે સુશાંત શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. રિયા ત્યારે મેરે ડેડ કી મારૂતિમાં કામ કરતી હતી. બન્ને ફિલ્મી સેટની આસપાસ હતા. ત્યારે રિયા અને સુશાંત પહેલી વાર મળ્યાં હતા. ત્યાર બાદ તેમની વચ્ચે દોસ્તી થઈ હતી. રિયાનો જન્મ ૧ જુલાઈ ૧૯૯૨ના રોજ બેંગ્લુરૂમાં થયો હતો. રિયા ચક્રવર્તીએ પોતાની કેરિયરની શરૂઆત ૨૦૦૯માં એમટીવીના રિયાલિટી શોથી કરી હતી. ત્યાર બાદ તે એમટીવીના ઘણા શોમાં હોસ્ટ બની હતી. દોસ્તી વધતા બન્ને એકબીજાની ખૂબ નજીક આવ્યાં હતા. રિયાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે સુશાંત સાથે પહેલેથી જ રિલેશનશીપમાં હતી. ખુદ રિયાએ જણાવ્યું હતું કે તે અને સુશાંત ૨૦૧૭-૧૮ દરમિયાન એક પ્રોડક્શન હાઉસમાંથી અલગ થયા હતા અને અલગ અલગ બેનર હેઠળ કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ બન્ને રિલેશનશીપમાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter