ઐશ્વર્યા-અભિષેકના છૂટાછેડાની અટકળોને બચ્ચન સ્ટાઇલમાં રદિયો

Wednesday 20th December 2023 07:24 EST
 
 

ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ખટરાગ અને છૂટાછેડાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. બચ્ચન પરિવાર તરફથી આ અટકળો મામલે કોઈ ખુલાસો કરાયો નથી, પરંતુ ‘બિગ બી’એ પોતાના આગવા અંદાજમાં આ તમામ અટકળોને રદિયો આપ્યો છે. આરાધ્યાની સ્કૂલમાં એક ઈવેન્ટ હોવાથી ઐશ્વર્યા રાય-બચ્ચનની સાથે અભિષેક અને અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા હતા. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલી ઈવેન્ટમાં આરાધ્યાએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઐશ્વર્યાની સાથે પતિ અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન અને અગત્સ્ય નંદા પહોંચ્યા હતા. નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ, ઐશ્વર્યાના ચહેરા પર એકદમ હળવાશ વર્તાતી હતી અને તે હસી-હસીને અભિષેક તથા અમિતાભ સાથે વાતો કરતી હતી. ‘ધ આર્ચીઝ’ ફેમ અગત્સ્ય નંદા અને ઐશ્વર્યાની માતા બ્રિન્દા રાય પણ તેમની સાથે હતા.
તાજેતરમાં અગત્સ્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું પ્રીમિયર યોજાયું હતું. જેમાં ઐશ્વર્યા-અભિષેક ઉપરાંત બચ્ચન પરિવાર હાજર હતો. ઐશ્વર્યા-આરાધ્યાએ જાહેરમાં અભિષેકને ઈગ્નોર કર્યો હોવાના ફોટોગ્રાફ્સ વાઈરલ થયા હતા. આ ઈવેન્ટમાં અભિષેક-ઐશ્વર્યાના ચહેરા પર તણાવ જોવા મળતો હતો અને તેઓ એકબીજાથી દૂર રહેતા હોય તેમ જણાતું હતું. ઐશ્વર્યા-અભિષેક વચ્ચે લાંબા સમયથી અણબનાવ હોવાનું કહેવાય છે, જેના પગલે તેઓ છૂટાછેડા લે તેવી અટકળો હતી. આ અટકળો વ્યાપક બન્યા બાદ અમિતાભે સોશિયલ મીડિયા પર સાંકેતિક પોસ્ટ મૂકી હતી. જેમાં બચ્ચને જણાવ્યું હતુંઃ, ‘જે કહેવાનું હતું અને બોલવાનું હતું, તે કહેવાઈ ગયું છે અને હવે કંઈ બાકી નથી.’ અમિતાભની આ પોસ્ટના અનેક અર્થ નીકળી શકે તેમ હતા. જોકે તેઓ હકીકતમાં શું કહેવા માગતા હતા, તે આરાધ્યાની સ્કૂલમાં જોવાયેલા દૃશ્ય પરથી સમજાયું હતું. માત્ર અભિષેક-ઐશ્વર્યા નહીં, પરંતુ અમિતાભ બચ્ચન, અગત્સ્ય નંદા અને ઐશ્વર્યાના માતા પણ સાથે જોવા મળ્યા હતા. આમ, બચ્ચન પરિવારમાં કોઈ ખટરાગ હોવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકવા માટે કંઈ પણ બોલ્યા વગર પ્રયાસ થયો હોય તેમ મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter