અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ સામે રાજદ્રોહ અને ઈશનિંદા બદલ એફઆરઆઈ નોંધવા બાન્દ્રા કોર્ટે તાજેતરમાં આદેશ આપ્યો છે. કંગના સામે સાંપ્રદાયિક તંગદિલી ફેલાવવાનો પણ આરોપ છે. તેના પર બોલિવૂડમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે મતભેદ ઊભો કરવાનો પણ આરોપ છે. અરજદાર મુનવ્વર અલી અને સાહિલ અશરફ સૈયદની ફરિયાદને આધારે કંગના અને તેની બહેન સામે એફઆરઆઈ નોંધવા કોર્ટે આદેશ આપ્યો છે. કંગના સામે તાજેતરમાં કર્ણાટકમાં ખેડૂતોનું અપમાન કરવાના આરોપસર એફઆઈઆર કરાઈ છે.
પુરાવા મળે તો કંગનાની ધરપકડ થઈ શકે છે
બાન્દ્રાનાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ધૂલેએ કંગના સામે CRPCની કલમ ૧૫૬(૩) હેઠળ એફઆઈઆરનાં આદેશો આપ્યા છે. કંગનાની પૂછપરછ થઈ શકે છે અને પુરાવા મળે તો ધરપકડ થઈ શકે છે. અરજદાર મુનવ્વર અલી અને સાહિલ અશરફ સૈયદે અરજીમાં લખ્યું કે, કંગના રનૌતે ઘણી જ વાંધાજનક ટ્વિટ કરી છે જેને કારણે લોકોની ધાર્મિક ભાવનાઓ અને લાગણીઓને ઠેસ પહોંચી છે.
પપ્પુ સેના પાછળ પડી ગઈ છે!
કંગનાએ એફઆઈઆરનાં સમાચાર મળ્યા પછી ટ્વિટ કર્યું હતું કે, મારી સામે વધુ એક કેસ થયો છે. મહારાષ્ટ્રમાં પપ્પુ સેના મારી પાછળ પડી ગઈ છે. તે મારી વિરુદ્ધ ઝનૂની બની રહી છે. વધુ યાદ કરવાની જરૂર નથી હું ઘણી જલદી ત્યાં મુંબઈ આવીશ.