બોલિવૂડ મામલે બિન્દાસ અને વિવાદી નિવેદનો આપવાની પંરપરા કંગના રણૌતે જાળવી છે. તેણે ફરી એક વખત સોફ્ટ ટાર્ગેટ આમિર ખાનને ટોણો માર્યો છે. કંગનાએ એક ઈવેન્ટ દરમિયાન એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, આમિર જેવા સુપરસ્ટાર્સ માત્ર બે કરોડ રૂપિયાના કામ માટે રૂ. 200 કરોડ પડાવી રહ્યા છે. ઈકોનોમિક ફ્લાઈટ મારફતે પણ પહોંચી શકાય તેવી જગ્યાએ પહોંચવા માટે તેઓ ચાર્ટર્ડ ફ્લાઈટ કરે છે. હવે લોકો તેમના સ્ટારડમના વિશેષાધિકાર સામે સવાલ કરી રહ્યા છે. આમિરની વાત કરીએ તો, દેશ જ્યારે કેટલાક તણાવમાં હતો અને તૂર્કી આપણા દેશના વિરોધમાં હતું. ત્યારે, આમિર ખાન ત્યાં ગયા અને તેમના (તૂર્કી)ના અભિપ્રાય સાથે સંમતિ દર્શાવી હતી અને ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. તેઓ આપણી સામે જ આપણા દેશને અસહિષ્ણુ કહી રહ્યા છે અને આખી દુનિયામાં દેશની પ્રતિષ્ઠા ખરડી રહ્યા છે. આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતા અંગે વાત કરતાં કંગનાએ દાવો કર્યો હતો કે, ફિલ્મને બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડથી નુકસાન નથી. આમિર ખાને ભારત દેશ માટે કરેલી ટિપ્પણીઓએ ફિલ્મને નુકસાન પહોંચાડ્યું હતું. આમિર ખાને ભારત દેશને અસહિષ્ણુ ગણાવ્યો હતો અને તેની આ ટીકાનો જવાબ ઓડિયન્સે આપ્યો હતો, જેથી ફિલ્મ ફ્લોપ ગઈ હતી. દેશની સાથે કે દેશના લોકોની સાથે નહીં રહેવાના આમિર ખાનના નિર્ણયનો ઓડિયન્સે આ રીતે જવાબ આપ્યો હોવાનું કંગના માને છે. ઉલ્લેખનીય છે કે, આમિર અને કરીનાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રૂ. 200 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મમાં જંગી ખોટ થવા છતાં આમિરે નવા વિષયની શોધ શરૂ કરી દીધી છે. કંગના તથા અન્ય લોકોની ટીકાઓની પરવા કર્યા વગર આમિર ખાન પોતાના પ્રોજેક્ટ્સમાં બિઝી છે, પરંતુ આ પ્રકારની ટીકાઓના કારણે આમિરની ફિલ્મોના બોક્સઓફિસ કલેક્શનને અસર પહોંચે છે.