કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું ૪૬ વર્ષની ઉંમરે બેંગ્લોર ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. સાઉથની ફિલ્મનોના લોકપ્રિય અભિનેતા પુનીત જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને આવેલો હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો હતો. હાર્ટ એટેક બાદ તેમને તાત્કાલિક બેંગ્લોરની વિક્રમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈ પણ તેમના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે વડા પ્રધાન મોદીએ પણ પુનીત રાજકુમારના અવસાન પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પુનીતના અવસાનના પગલે સમગ્ર કર્ણાટકમાં શોકની લહેર ફરી વળી છે અને રાજ્યના તમામ થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય તેમના ફેન્સને કાબૂમાં રાખવા માટે કેટલાક વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવી દેવામાં આવી હતી. બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેમના નિધનના પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયામાં દુઃખ વ્યકત કર્યું હતું. પુનીતના પિતા રાજકુમાર પણ સાઉથ ઇન્ડિયન સિનેમાના આઈકોન હતા. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી કોઈને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોય તેવા પહેલા અભિનેતા હતા. ચંદનચોર વિરપ્પને જુલાઈ ૨૦૦૦માં તામિલનાડુમાંથી તેમનું અપહરણ કરી લીધું હતું.