કરણ જોહરના ઘરે ગયા વર્ષે યોજાયેલી પાર્ટી સામે કાનૂની કાર્યવાહીનો તખતો તૈયાર થઇ રહ્યો છે. શિરોમણી અકાલી દળના જાણીતા નેતા મનજિન્દર સિંહ સિરસાએ કરણની આ પાર્ટી વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ને ફરિયાદ કરીને તપાસ કરવા માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે આ પાર્ટીનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેના આધારે કેટલાકે એવી આશંકા વ્યક્ત કરી હતી કે આ પાર્ટીમાં નશીલા પદાર્થોનું સેવન થયું હતું. સિરસાએ તેમની ફરિયાદમાં કરણની પાર્ટીમાં હાજરી આપનારા દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, મલાઈકા અરોરા, વરુણ ધવન, અર્જુન કપૂર અને શાહીદ કપૂરની પૂછપરછ કરવા માગણી કરી છે. સિરસાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આ એક્ટર્સ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરતાં જોવા મળ્યાં હતાં. જોકે, વીડિયોથી આ વાત કન્ફર્મ થતી નથી. આ વીડિયોમાં તેઓ નશામાં હોય એટલું જ જણાય છે. બીજી તરફ, કરણે આ મામલે અગાઉ જ સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે પોતાના ઘરે યોજાયેલી આ પાર્ટીમાં કોઈ પણ ડ્રગ્સ નહોતું લેતું.