સારા અલી ખાનની અનેક ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે પરંતુ, અભિનેત્રીના અભિનયના વખાણ ફક્ત ‘કેદારનાથ’ અને ‘અતરંગી રે’માં થયા હતા. સારાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર્યું છે કે, અત્યારે તે કરિયરના એવા તબક્કામાં છે જ્યાં ભૂલો કરવાનો અને તેના પરથી શીખવાનો મોકો છે. આ સાથે જ પોતાની અનેક ભૂલોને સ્વીકારતાં તેણે જણાવ્યું છે કે, મેં ઘણી ભૂલ કરી છે, મારી અનેક ફિલ્મો ઓડિયન્સને પસંદ નથી આવી તે મને ખબર છે. ફિલ્મ સિલેક્શનમાં અનેકવાર હું થાપ ખાઈ ગઈ છું પણ ભૂલો પરથી શીખી રહી છું.
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષની સફર પૂરી કરનાર અભિનેત્રીએ કહ્યું છે કે, એક એકટર તરીકે હું દરરોજ કઈને કઈ શીખું છું. મારી જર્ની મુજબ હું આગળ વધી રહી છું. હું દરરોજ કંઈક નવું શીખવાની કોશિશમાં રહું છું અને મારા કો-એક્ટર્સ પાસેથી શીખતી રહું છું. મારી વિચારસરણી મુજબ, દરેક વ્યક્તિ એક વાર પડ્યા પછી જ આગળ વધે છે. મારા પણ કેટલાક પ્રોબ્લેમ છે તેને હું સમજું છું. મારા કરિયરમાં મેં કરેલી અનેક ભૂલોથી હું શીખી છું. મને લાગે છે કે, ભૂલો તો કોઈ પણ વ્યક્તિ કરે છે પણ શીખવું જરૂરી છે.