કાર્તિક આર્યન અને કરણ જોહર ફિલ્મ ‘દોસ્તાના-2’ બનાવી રહ્યા હતા. તે ફિલ્મને મુદ્દે બધામાં ખૂબ ઉત્સાહ હતો ત્યાં તો અહેવાલ આવ્યા હતા કે, બન્ને વચ્ચેના અણબનાવને કારણે કાર્તિક ફિલ્મનો ભાગ નથી. આ પછી તો ફિલ્મ બંધ થઈ હોવાના જ અહેવાલ મળ્યા. હવે બન્ને વચ્ચેના સંબંધ સામાન્યવત થઈ ગયા છે. હવે બન્નેની ફિલ્મ - ‘તું મેરી મૈં તેરા, મૈં તેરી તું મેરા’ આવી રહી છે. તે અરસામાં પ્રશંસકો એ જાણવા માંગે છે કે આખરે બન્ને વચ્ચેની લડાઈ ખતમ કેવી રીતે થઈ? કરણે આના કારણ અંગે સ્પષ્ટતા પણ કરી છે.
કરણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમે એકબીજા સાથે ચર્ચા કરી અને બધું થાળે પડી ગયું. જે બની ગયું તે બની ગયું. કાર્તિક ખૂબ જ કઠોર પરિશ્રમ કરનારા છે. તેમનું ઓડિયન્સ પણ મોટું છે. અમે બન્ને સહયોગ કરીને નજીક આવ્યા. પરંતુ અમારા બન્નેની પોતાની મુશ્કેલીઓ હતી, પરંતુ આ નાની ઈન્ડસ્ટ્રી છે કે જેને હું કુટુંબ કહું છું. કુટુંબોમાં પણ મુશ્કેલી આવે છે. તમે તો જાણો જ છો કે સારા લોકો જ સારી ફિલ્મ અને સારું કન્ટેન્ટ આપી શકે.’ વર્ષ 2021માં કાર્તિક અને કરણ વચ્ચેના અણબનાવના સમાચાર આવ્યા ત્યારે કહેવાઈ રહ્યું હતું કે, કાર્તિકના અનપ્રોફેશનલ એપ્રોચના કારણે તેને દૂર કરવામાં આવ્યો હતો. કરણ તે વાતે ખૂબ પરેશાન હતો. જોકે કરણે લડાઈ પર પૂર્ણવિરામ મૂક્યું અને કાર્તિકના બર્થડેના દિવસે ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી. કાર્તિકે આ વિશે એક મુલાકાતમાં કહ્યું કે, ‘બંને વચ્ચે અણબનાવના અહેવાલ આવ્યા ત્યારે પણ હું ખામોશ રહ્યો હતો અને આજે પણ ચૂપ છું. હું કામ પર 100 ટકા ધ્યાન આપું છું. મારે કાંઈ સાબિત કરવાની જરૂર નથી.’