હિન્દી અને દક્ષિણના ફિલ્મી ગીતોમાં મધુર અવાજ આપવા માટે જાણીતા ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમની કોરોના પોઝિટિવ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૭મીના હોસ્પિટલના અહેવાલો અનુસાર, છેલ્લા ૧૧ દિવસથી કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા એસ પીની તબિયત હાલ ઘણી જ ગંભીર છે. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. ડોક્ટર્સની ટીમ સતત તેમને મોનિટર કરી રહી છે. એસ પી બાલા સુબ્રમણ્યના દીકરા ચરણ સુબ્રમણ્યમે તેમના પિતાની તબિયત અંગે ફેસબુક પર વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું કે, પિતાની રિકવરી અંગે ડોક્ટર્સ આશાસ્પદ છે. જોકે, આમાં કેટલાંક મહિનાઓ થઈ શકે છે. ચરણે કહ્યું હતું કે તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. સારી વાત એ છે કે હવે પિતા ડોક્ટર્સને ઓળખવા લાગ્યા છે અને થમ્સ-અપ સાઈન પણ બતાવી રહ્યા છે. તેમને શ્વાસ લેવામાં થોડી રાહત થઈ છે પરંતુ હજી પણ તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.
એસપીનાં પત્નીને પણ કોરોના
વીડિયોના અંતે ચરણે પોતાની માતા સાવિત્રીને પણ કોરોના હોવાનું જણાવ્યું હતું. ચરણે કહ્યું હતું કે, તેની માતાની તબિયત પહેલા કરતાં સારી છે. તેમને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા મળશે. મને વિશ્વાસ છે કે પિતા પણ ટૂંક સમયમાં સાજા થઈ જશે. તમારા પ્રેમ માટે આભાર.