ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોષીને પ્રસાર ભારતીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. પ્રસૂન જોષી ભારતીય સિનેમા જગતની જાણીતી વ્યક્તિ છે. તેમણે સિનેમાથી લઈને જાહેરાત જગત અને સાહિત્યના ક્ષેત્રોમાં અમીટ છાપ છોડી છે. તેમની કલમે અનેક યાદગાર ગીતોનું સર્જન કર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ તરીકે પ્રસૂન જોષીની નિયુક્તિ પર મારી હાર્દિક શુભકામનાઓ... પ્રસૂન ખુબ જ ક્રિયેટિવ છે જેની વિશ્વભરના જાહેરાત જગત, સાહિત્ય, કળા અને સિનેમા જગતમાં ખુબ જ પ્રસંશા થઇ છે. તેમનું દિલ સતત ભારત માટે ધબકતું રહે છે. નોંધનીય છે કે પ્રસૂન જોષી આ પહેલાં ઓગસ્ટ 2017થી સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ-મુંબઈના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળતા હતા.


