ગોવિંદાની કારકિર્દી તેના હજૂરિયાઓએ જ બરબાદ કરી

Saturday 21st June 2025 08:05 EDT
 
 

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ તાજેતરમાં સ્પષ્ટતા કરી કે ગોવિંદાની કારકિર્દીને બરબાદ કરવામાં કેટલાક નજીકના લોકોનો જ હાથ હતો. આ મુદ્દે સુનીતા આહૂજાએ ખુલીને પોતાના વિચારોને વાચા આપી હતી. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે, ‘ગોવિંદા વીતેલા 17 વર્ષથી મોટા પરદા પર જોવા નથી મળ્યા, કારણ કે તેમની આસપાસ રહેનારા લોકો ખોટા છે. તે લોકો માત્ર વાહવાહ કરનારા લોકો છે, જી હજૂરિયા છે. ગોવિંદા અને મારી વચ્ચે આ મુદ્દે ઝઘડો પણ થાય છે કારણ કે હું જૂઠું નથી બોલી શકતી. લોકોની ખોટી ચાપલૂસી નથી કરી શકતી. ગોવિંદા પાસે આજે એક લેખક, સેક્રેટરી અને મિત્ર જેવો વકીલ છે. તે બધા જ ફાલતુ છે. તે લોકો ગોવિંદાની માત્ર પ્રશંસા કરે છે અને કહેતા રહે છે કે શું સરસ કામ કર્યું છે. આ મુદ્દે હું વિચારવાનું કહું છું તો ગોવિંદા ચીડાઈ જાય છે.’
ગોવિંદાની પત્નીએ આગળ વાત કરતાં કહ્યું કે, ‘મેં તેમને કહ્યું કે, 1990નો દાયકો પૂરો થઈ ગયો છે. આજે શું ચાલે છે તેના પર નજર નાખો - ઓટીટી પ્લેટફોર્મ, નેટફ્લિક્સ પરંતુ તેઓ પોતાના વાહવાહ પ્રોડક્શનના ઘેરામાં ઘેરાયેલા રહે છે. મેં તેમને કહ્યું કે, તમારી આસપાસના લોકોને બદલો. જે ચાર-પાંચ લોકો તમારી સાથે છે એ તેમને આગળ નહીં વધવા દે. તેમની આસપાસના લોકોએ તેમના મગજમાં તેમની સફળતાની દંતકથાઓ ભરી દીધી છે.’ ગોવિંદાની છેલ્લી ફિલ્મ ‘રંગીલા રાજા’ 2019માં આવી હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter