ફિટ બોડી અને રેગ્યુલર વર્કઆઉટના કારણે તમામ બીમારીઓ દૂર રહેતી હોવાની માન્યતાને આંચકો આપતી વધુ એક ઘટના ટીવી એક્ટર સાથે બની છે. કુસુમ, વારિસ અને સૂર્યપુત્ર અને કર્ણ જેવી સિરિયલથી જાણીતા બનેલા એક્ટર સિદ્વાંત વીર સૂર્યવંશી શનિવારે પોતાના રેગ્યુલર રુટિન મુજબ મુંબઇ ખાતે જીમમાં વર્કઆઉટ કરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. 46 વર્ષીય સિદ્વાંતને તરત જ નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમના પ્રાણ ઊડી ગયા હતા. ઓશીવારા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સિદ્વાંતે કસોટી જિંદગી કી, કિસ્ના અર્જુન અને ક્યા દિલમેં હૈ જેવી સિરિયલથી ભારે લોકપ્રિયતા મેળવી હતી. 2017માં તેણે એલેસિયા સાથે મેરેજ કર્યા હતા. સિદ્વાંતના ઓચિંતા નિધનથી તેની પત્ની અને બે સંતાનો મુશ્કેલીમાં મૂકાયા છે. તેણે પહેલા મેરેજ ઇરા સાથે કર્યા હતા.
અગાઉ ટીવી સ્ટાર સિદ્વાર્થ શુક્લાને તેમજ જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ કરતી વખતે જ સ્ટ્રોક આવ્યો હતો અને જીવ ગુમાવ્યો હતો. વર્કઆઉટ અને ફિટનેસ બાબતે હંમેશા એલર્ટ રહેતા સેલિબ્રિટી અને સાથે આ પ્રકારની બીજી ઘટના બનતાં શોકનો માહોલ છવાયો છે.