ટીવી અને ઓટીટીની જાણીતી અભિનેત્રી જેનિફર વિન્ગેટને કાર્તિક આર્યન સાથે એક ફિલ્મ ઓફર થઈ છે. અત્યાર સુધી ફિલ્મોની ઓફરથી ભાગતી રહેતી આ અભિનેત્રીએ હાલના હિટ હિરો કાર્તિક સાથેની ફિલ્મ સ્વીકારી લીધાના અહેવાલ છે. અલબત્ત, જેનિફર કે કાર્તિક બંનેમાંથી કોઈએ આ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ બોલિવુડ સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેએ આ પ્રોજેક્ટ માટે સંમતિ આપી દીધી છે. જેનિફરે કેટલીય સુપરહિટ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેની ઓટીટી સિરીઝ પણ પોપ્યુલર થઈ છે. તે ફિર સે, કુછ ન કહો અને રાજા કો રાની સે પ્યાર હો ગયા જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. જોકે, લીડ હિરોઈન તરીકે તેને લાંબા સમયથી ઓફર્સ મળતી હતી પરંતુ તે નાના પડદા પર પોતાની લોકપ્રિયતાથી સંતુષ્ટ હોવાથી આ ઓફરો સ્વીકારી ન હતી. પરંતુ, હાલ કાર્તિક આર્યનનો સિતારો બુલંદ હોવાથી તેની સાથે ફિલ્મની તક તે જતી ના કરે તે સ્વાભાવિક છે. કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા-ટુ બોક્સ ઓફિસ પર રૂ. 175 કરોડની કમાણી સાથે આ વર્ષની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ છે. જેનિફર હાલ તેની ઓટીટી સિરીઝ ઉપરાંત સહકલાકાર તનુજ વિરવાણી સાથે અફેરની અફવાને કારણે પણ ચર્ચામાં છે.