ટી સિરીઝના માલિક ભૂષણ કુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ

Friday 03rd July 2020 17:55 EDT
 
 

બોલિવૂડ સિંગર સોનુ નિગમે તાજેતરમાં વધુ એક વીડિયોમાં ખુલ્લેઆમ ટી સિરીઝ કંપની અને તેના માલિક ભૂષણ કુમાર સામે જાણીજોઈને ખોટા સમાચારો ફેલાવવાનો આરોપ મૂક્યો છે. સોનુએ વીડિયોમાં કહ્યું છે કે, ભૂષણ કુમાર, હવે તો તારું નામ મારે લેવું જ પડશે અને તું એને જ લાયક છું. તેં ખોટા માણસ સાથે દુશ્મની વ્હોરી લીધી છે. ભૂલી ગયો એ સમય, જ્યારે તું મારા ઘરે આવીને કહેતો હતો કે ભાઈ મારું આલબમ કરી દે, ભાઈ ‘દીવાના’ કરી દે, ભાઈ મને સહારાશ્રી સાથે મુલાકાત કરાવી દે, સ્મિતા ઠાકરે સાથે મુલાકાત કરાવી દે, બાળ ઠાકરે સાથે મુલાકાત કરાવી દે, ભાઈ અબુ સાલેમથી બચાવી લે.
હવે હું તને કહી રહ્યો છું કે ભાઈ હવે મારી સાથે ના પંગો લેતો. મરીના કુંવર યાદ છે ને? તે કેમ બોલી અને કેમ બેક આઉટ થઈ? એ મને નથી ખબર, પરંતુ મીડિયા જાણે છે. તેનો વીડિયો મારી પાસે પડ્યો છે. હવે મારી સાથે પંગો લઈશ તો તેનો વીડિયો યુ ટ્યૂબ પર અપલોડ કરી દઈશ અને બહુ ધૂમધામ સાથે નાંખીશ. મારી સાથે મગજમારી ના કરતો... આ વીડિયોના કેપ્શનમાં સોનુએ લખ્યું છે કે, લાતોં કે માફિયા બાતોં સે નહીં માનતે. આ પહેલાંના વીડિયોમાં સોનુએ કોઈનું નામ નહોતું લીધું અને કહ્યું હતું કે, તમે લોકો નવોદિતો સાથે પ્રેમથી વર્તો. આત્મહત્યા પછી રોવા કરતાં સારું કે અહીંનો માહોલ જ સુધારવામાં આવે. જોકે માફિયાઓ તો માફિયાની જેમ જ કામ કરશે. તેમણે તો કેટલાક મહાન લોકોને પણ કહ્યું છે કે, મારી વિરુદ્ધ ઈન્ટરવ્યૂ આપે. તેમાંથી કેટલાક તો મારી ખૂબ નજીક છે, પરંતુ હવે તેમને અલગ થઈને બોલવું પડી રહ્યું છે.
મરીના કુંવર કોણ છે?
‘શપથ’, ‘સીઆઈડી’, અને ‘આહટ’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલી મરીના કુંવર એક અભિનેત્રી અને મોડલ છે. તેણે ૨૦૧૮માં ભૂષણ કુમાર પર મી-ટુ દરમિયાન આરોપ મૂક્યા હતા.
સોનુ અહેસાન ફરામોશઃ દિવ્યા કુમાર
આ દરમિયાન ભૂષણ કુમારની પત્ની દિવ્યા કુમાર ખોસલાએ સોનુ પર જૂઠ્ઠું અભિયાન ચલાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, સોનુ અહેસાન ફરામોશ છે. અમારી કંપની ટી સિરીઝે જ સોનુને બ્રેક આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter