ફિલ્મમેકર કરણ જોહર નજીકના ભવિષ્યમાં પોતાની કંપની ‘ધર્મા કોર્નરસ્ટોન એજન્સી’ (DCA) હેઠળ ૪ નવી ટેલેન્ટને ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવશે. આ વાતની જાણકારી કંપનીએ જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. આ પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કરાયો છે. તેમાં નવા ટેલેન્ટની ઝલક પણ દેખાડવામાં આવી છે. જોકે વીડિયોમાં કોઈનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી.
કરણ જોહરે વીડિયો શેર કરી લખ્યું છે કે, ઇન્ડિયન સિનેમાના આ સૌથી મોટા ફિલ્ડમાં મેં હંમેશાં ન્યૂ ટેલેન્ટને સપોર્ટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભલે તે એક્ટર, ડિરેક્ટર, ટેક્નિશિયન કે મ્યુઝિક ફિલ્ડના આર્ટિસ્ટ રહ્યા હોય. તે જ વિચાર સાથે અમે ૪ નવી ટેલેન્ટને રજૂ કરવાના છીએ અને તેના પર અમને ગર્વ છે. આ બધાએ ઘણા ઓછા સમયમાં પોતાના કામથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે અને ફેન્સનો પ્રેમ મેળવ્યો છે.
કરણે આગળ લખ્યું કે, આ બધા સ્ક્રીન પર જે એનર્જી લાવે છે તે શાનદાર છે. અમે આ પાવરહાઉસને તેમના એલિમેન્ટ્સમાં જોવા માટે રાહ જોઈ શકતા નથી. તેમને તમારો અઢળક પ્રેમ આપો. તેમનું સ્ક્રીન પર ખુલ્લા દિલે સ્વાગત કરો. હું નવી જનરેશનના આ ચહેરાઓને તેમના ટેલેન્ટથી આગળ વધતા જોવા ઈચ્છું છું.
કરણ પર નેપોટિઝ્મનો આરોપ હતો
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કરણ જોહર પર બોલિવૂડમાં નેપોટિઝ્મને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે જોવાનું એ છે કે કરણ જોહર જે ૪ને ઇન્ડસ્ટ્રીમાં ઈન્ટ્રોડ્યુસ કરવાનો છે તે બધા ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહારનું બેકગ્રાઉન્ડ ધરાવે છે કે પછી કોઈ સ્ટારના પરિવાર સાથે સંબંધ રાખે છે. કરણે ‘ધર્મા કોર્નરસ્ટોન એજન્સી’ નામની આ ટેલેન્ટ રિપ્રેઝન્ટેશન અને મેનેજમેન્ટ કંપનીની શરૂઆત ડિસેમ્બર ૨૦૨૦માં કરી હતી.