કોરોનાના ચેપ બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ નદીમ-શ્રવણની પ્રખ્યાત જોડીમાંના સંગીતકાર શ્રવણ રાઠોડનું ૨૩ એપ્રિલે રાત્રે હાર્ટ એટેક અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી અવસાન થયું છે. તેના ઘણા અંગોએ કામ બંધ કરી દીધું હતું. ‘આશિકી’ ફિલ્મ ફેમ શ્રવણ રાઠોડ આઈસીયુમાં દાખલ હતા અને તેમની કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોવાથી ૧૯ એપ્રિલે તેમને ડાયાલિસિસ પર મૂકાયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે ડોકટરોએ ડાયાલિસીસનો નિર્ણય લીધો હતો ત્યારે જ કહ્યું હતું કે આગામી ૭૨ કલાક નાજુક છે. શ્રવણ રાઠોડના દીકરા સંજીવ રાઠોડે પણ પોતાના પિતાને પ્રાર્થનાઓની જરૂર છે તેમ કહ્યું હતું. ૬૬ વર્ષીય શ્રવણ રાઠોડ કોરોનાથી સંક્રમિત હતા, હાલત ગંભીર હતી પણ હોસ્પિટલમાં સુધારો નોંધાયો હતો. શ્રવણ રાઠોડના અવસાનના સમાચાર સાંભળીને ઘણા બોલિવૂડ સેલેબ્સ દ્વારા તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.