અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીની અંગત જિંદગીમાં છેલ્લા કેટલાય સમયથી ભારે હલચલ મચી છે. નવાઝ અને તેની પત્ની વચ્ચેનો વિવાદ વધુ વરવો બન્યો છે. પત્ની આલિયાએ નવાઝ સામે રેપ મામલે પોલીસ કેસ દાખલ કર્યો છે. આલિયાએ કહ્યું હતું કે મેં વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ગમે તે થાય, હું મારા માસૂમ બાળકોને તેના નિર્દય હાથોમાં સોંપવાની નથી. આલિયાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં રડતાં રડતાં કહે છે કે ‘નવાઝ બાળકોની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ હું તમને પૂછવા માંગુ છું, એક એવા માણસને, જેને ખબર નથી કે તેના બાળકો ક્યારે મોટા થઈ ગયા છે. જે બાળકનું ડાયપર કેવી રીતે બદલવું તે પણ જાણતો નથી. આજે તે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મારા બાળકોને મારી પાસેથી છીનવી લેવા માંગે છે. આજે તે આ બધું કરીને પોતાને એક મહાન પિતા તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.’ આલિયાએ વીડિયોમાં આગળ કહ્યું છે, ‘તમે તમારા પૈસાથી કેટલા પણ લોકોને ખરીદો, તમે મારા બાળકોને મારાથી ક્યારેય અલગ નહીં કરી શકો. તમે મને તમારી પત્ની તરીકે સ્વીકારતા નથી, પણ મેં તમને મારા પતિ તરીકે કાયમ માટે સ્વીકાર્યો છે. મેં દરેક દસ્તાવેજમાં તમારો ઉલ્લેખ મારા પતિ તરીકે કર્યો, પરંતુ તમે મારી સાથે છેતરપિંડી કરી. હું હવે આ સહન કરી શકતી નથી.’
આલિયાએ નવાઝની માતા પર પોતાની મારપીટનો આરોપ મૂક્યા બાદ નવાઝુદ્દીન - આલિયા વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. આલિયાના કહેવા પ્રમાણે, નવાઝનો પરિવાર તેનું શોષણ કરી રહ્યો છે અને તેને તેમની મિલકતમાંથી કાઢી મૂકી છે. બીજી તરફ નવાઝનું કહેવું છે કે આલિયા ઘણા સમય પહેલાં જ તેનાથી અલગ થઈ ગઈ છે, પરંતુ હવે તે ગેરકાયદે રીતે પ્રોપર્ટી અને બંગલાનો કબજો લેવા માગે છે.’ આલિયાએ થોડા દિવસો પહેલાં પણ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે નવાઝ પર પોતાનો ગુસ્સો ઠાલવતી જોવા મળી હતી. આલિયાના કહેવા પ્રમાણે, નવાઝથી છૂટાછેડા પછી પણ બંને રિલેશનશિપમાં હતા અને છૂટાછેડા પછી બીજું બાળક પણ હતું, પરંતુ નવાઝે ક્યારેય તેને અપનાવ્યું નથી. બીજી તરફ, નવાઝની માતાએ આલિયા પર આરોપ લગાવતા કહ્યું કે બીજું સંતાન નવાઝનું નહીં, પરંતુ કોઈ અન્યનું છે.