જાણીતા નિર્માતા પ્રદીપ ગુહાનું રવિવારે મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં નિધન થયું છે. ફિઝા, મિશન કશ્મીર અને ફિર કભી જેવી ફિલ્મોના નિર્માતા પ્રદીપ ગુહાને ત્રણ અઠવાડિયા પહેલાં જ એડવાન્સ લીવર કેન્સર (સ્ટેજ ૪) હોવાનું નિદાન થયું હતું. આ પછી તેમની તબિયત કથળતાં ૨૦ ઓગસ્ટે તેમને વેન્ટિલેટર પર રખાયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. તેમના નિધનથી મનોરંજન ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ગુહાની સારવાર કરી રહેલા ડોક્ટરોએ ન્યૂ યોર્કના વિખ્યાત કેન્સર ઇન્સ્ટિટ્યુટ સ્લોન કેટરિંગના ડોક્ટરોને કન્સલ્ટ કરીને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું. જોકે કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી તેમનું સ્વાસ્થ્ય સારવારને રિસ્પોન્સ આપતું નહતું અને તબિયત ઝડપભેર કથળી હતી.