રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના ચેરમેનપદે વરણી કરી છે. સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યં હતું કે પરેશ રાવલની નિમણૂક થતાં કલાકારો અને વિદ્યાર્થીઓને ફાયદો થશે. તેઓ પરેશ રાવલના અનુભવનો, કલાનો લાભ લઈ શકશે. પરેશ રાવલ આવતા ચાર વર્ષ માટે એનએસડીનું અધ્યક્ષપદ સંભાળશે. ૨૦૧૭થી આ સ્થાન ખાલી હતું. રાજસ્થાનના કવિ અને સંસ્થાના ડેપ્યુટી ચેરમેન ડો. અર્જુન દેવ કાર્યકારી ધોરણે આ જવાબદારી સંભાળતા હતા. ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા પરેશ રાવલને તેમના પ્રશંસનીય પ્રદાન બદલ ૨૦૧૪માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓ લોકસભામાં અમદાવાદ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.