રણવીરસિંહે ગયા જુલાઈમાં પીપલ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવીને વિવાદનો વંટોળ સર્જ્યો હતો. હવે તે આ જ ફોટોશૂટ મામલે પોલીસ કેસનો સામનો કરી રહ્યો છે. રણવીરસિંહે 29 ઓગસ્ટના રોજ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં હાજર થઇને સવાર બે કલાક સુધી પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું હતું. ઇન્સ્પેક્ટર જયકુમાર સૂર્યવંશીએ કહ્યું હતું કે રણવીરને 10 સવાલ પૂછાયા હતા. રણવીરે પોતાને નિર્દોષ ગણાવીને ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા છે. તમામ સવાલોના જવાબ આપતાં રણવીરે કહ્યું હતું, ‘મને આ વાતનો સહેજ પણ અંદાજ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ મારા માટે મુસીબત ઊભી કરી દેશે, મારો હેતુ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. મેં એક જનરલ ફોટોશૂટની જેમ જ આ ફોટોશૂટ કરાવ્યું હતું.’ ફોટોશૂટને સોશિયલ મીડિયામાં શેર કરવાના સવાલ પર એક્ટરે કહ્યું હતું કે ‘હું માત્ર એટલું જ ઇચ્છતો કે વધુ ને વધુ લોકો સુધી આ પહોંચે, અને આ જ કારણે મેં સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી. મેં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તસવીરો પોસ્ટ કરી નહોતી.’ રણવીરે તપાસમાં સહયોગ આપવાની વાત કહી હતી. પોલીસને જરૂર લાગશે તો બીજી વાર રણવીરને પોલીસ સ્ટેશન બોલાવાશે.
ઉલ્લેખનીય છે કે રણવીર વિરુદ્ધ મુંબઈની એક સ્વૈચ્છિક સંસ્થાએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવાયું છે કે રણવીરે ન્યૂડ ફોટોશૂટથી મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે અને તેનું અપમાન કર્યું છે. આથી આ તસ્વીરો હટાવવામાં આવે. આ સાથે જ રણવીરની ધરપકડની માગણી પણ કરી છે. રણવીર ઇંડિયન પીનલ કોડની ત્રણ કલમો ઉપરાંત IT એક્ટની કલમ હેઠળ કેસ નોંધાયો છે.
રણવીરને પૂછાયેલા 10 સવાલ
• આ ફોટોશૂટનો કોન્ટ્રેક્ટ કઈ કંપની સાથે હતો? • તમે કોન્ટ્રેક્ટ પૂરો વાંચ્યો હતો? • આ શૂટ ક્યારે અને કઈ જગ્યાએ થયું? • આ શૂટ માટે તમને કટેલા પૈસા મળ્યા હતા? • તમને ક્યારેય એમ લાગ્યું હતું કે આ તસવીર વિવાદ ઊભો કરી શકે છે? • શૂટ કરેલી તસવીરો તમે સોશિયલ મીડિયામાં કયા હેતુથી શેર કરી હતી? • વિવાદ વધતાં તમે એ તસવીરો સોશિયલ મીડિયામાંથી હટાવી હતી? • આ પ્રકારના ફોટશૂટથી લોકોની ભાવાના ઠેસ પહોંચે છે, આ વાતની જાણકારી હતી? • આ વિવાદ પર ન્યૂડ ફોટો પબ્લિશ કરનાર કંપનીએ શું કહ્યું હતું?