ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌનશોષણના આક્ષેપો કરનાર અભિનેત્રી પાયલ ઘોષ ૨૬મી ઓક્ટોબરે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)માં સામેલ થઈ છે. RPIના પ્રમુખ તથા કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, જેણે અનુરાગ કશ્યપને ઘાયલ કર્યો તે આ પાયલ છે. પાયલને પાર્ટીની મહિલા વિંગની વાઈસ પ્રેસિડન્ટ બનાવાઈ છે. પાયલે ખાસ કાર્યક્રમમાં RPIનો ઝંડો હાથમાં લીધો હતો. થોડાં દિવસ પહેલા કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવાલેએ સોશિયલ મીડિયામાં પાયલ સાથેની મુલાકાતની એક તસવીર પણ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પાયલ કેન્દ્રીય પ્રધાન રામદાસ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા ગઈ હતી.
અનુરાગ કશ્યપ પર આક્ષેપો
૨૨મી સપ્ટેમ્બરે પાયલ ઘોષે વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ ફાઈલ કર્યો હતો. તેનો આરોપ હતો કે અનુરાગે વર્ષ ૨૦૧૩માં વર્સોવામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૮મી ઓક્ટોબરે આ મામલે અનુરાગની આશરે ૮ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. અનુરાગે પોલીસને જણાવ્યું હતું કે, પાયલ જે તારીખ – સમય જણાવી રહી છે તે વખતે તેઓ મુંબઈ બહાર હતા. જેના પુરાવા હોવાનું પણ અનુરાગના વકીલે જણાવ્યું હતું.
રિચા ચઢ્ઢાની માફી માગી
પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ પર આક્ષેપ મૂક્યો તે દરમિયાન તેણે અભિનેત્રીઓ સ્વરા ભાસ્કર અને રિચા ચઢ્ઢાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્વરાએ એ પછી પોતાનું નામ લેવા બદલ પાયલ ઘોષ પર માનહાનિનો કેસ કર્યો હતો. પાયલ ઘોષે એ પછી સ્વરા ભાસ્કરની બિનશરતી માફી માગી હતી અને કેસ અંગે સમાધાન કર્યું હતું. પાયલે પછીથી રિચાની પણ માફી
માગી હતી.