પૂરપીડિતોની વ્હારે અલ્લુ અર્જુન

Tuesday 14th December 2021 09:33 EST
 
 

બોલિવૂડ હોય કે ટોલિવૂડ જ્યાં એક તરફ સેલેબ્સ દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે તો બીજી તરફ તેઓ હંમેશા જરૂરતમંદોની સહાય કરવામાં પણ આગળ હોય છે. કોરોના મહામારીના કપરા કાળમાં અનેક સ્ટાર્સે લાખો-કરોડો રૂપિયાનું ડોનેશન કર્યું અને કોરોના સામેના જંગમાં આ પ્રકારે પોતાનું યોગદાન આપ્યું. કોરોનાનો કોપ ઓછો હોય તેમ આંધ્ર પ્રદેશમાં કુદરતે કહેર વર્તાવ્યો છે. લોકો પૂરની આફતનો સામનો કરી રહ્યા છે. જોકે આનંદની વાત એ પણ છે કે લોકો જરૂરતમંદોની વ્હારે પણ પહોંચી રહ્યા છે. ફિલ્મસ્ટાર અલ્લુ અર્જુન આમાં આગળ છે. તેણે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨૫ લાખનું ડોનેશન આપ્યું હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. આંધ્ર પ્રદેશમાં અનેક જગ્યાએ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે, અનેક વિસ્તારમાં પાણી શહેરમાં ઘૂસી ગયું છે અને સ્થિતિ ગંભીર થઈ છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે મારી લાગણી આંધ્ર પ્રદેશના લોકોની સાથે છે, જેઓ તાજેતરના પૂરથી પ્રભાવિત થયા છે. પૂરથી પ્રભાવિત આંધ પ્રદેશના લોકો વિશે વિચારીને દુઃખી છું. પુનર્વસન પ્રયાસોમાં મદદ કરવા માટે હું આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં યોગદાન આપી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter