ફિલ્મ અને રંગભૂમિના જાણીતા અભિનેતા રમેશ દેવનું નિધન

Thursday 10th February 2022 06:55 EST
 
 

હિન્દી અને મરાઠી ફિલ્મો તેમજ રંગભૂમિના દિગ્ગજ અભિનેતા રમેશ દેવનું ત્રીજી ફેબ્રુઆરીના રોજ ૯૩ વર્ષની જૈફ વયે નિધન થયું છે. આગલા સપ્તાહે જ ૯૩મો જન્મદિન ઉજવી ચૂકેલા રમેશ દેવની તબિયત બગડતા મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં હાર્ટ એટેકના લીધે તેમનું અવસાન થયું હતું. અભિનય ક્ષેત્રની લગભગ ચાર દાયકાની સફરમાં રમેશ દેવે ૨૮૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. રમેશ દેવ અને તેમના અભિનેત્રી પત્ની સીમા દેવની જોડીએ મરાઠી રંગભૂમિ ઉપર અનેક યાદગાર નાટકો ભજવ્યા હતા. હિન્દી અને મરાઠી ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી. નાયક અને ખલનાયકના પાત્રમાં તેમણે ઉલ્લેખનીય ભૂમિકાઓ ભજવી હતી. તેમની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં ‘સરસ્વતીચંદ્ર’, ‘આનંદ’, ‘જીવન મૃત્યુ’, ‘દસ લાખ’, ‘પરદેશ’, ‘ખિલૌના’, ‘અલબેલા’, ‘કોશિશ’ અને ‘તીન બહુરાનિયા’ વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter