સમગ્ર મહારાષ્ટ્ર કોરોનાની લપેટામાં છે, ત્યારે સ્વાભાવિક છે કે બોલિવૂડ કલાકારો પણ તેમાંથી બાકાત નથી. એક પછી એક ફિલ્મી હસ્તીઓ કોરોના સંક્રમિત થઇ રહી છે. રવિવારે અભિનેતા અક્ષય કુમાર પછી ફિલ્મ ઉદ્યોગના એક અન્ય દિગ્ગજ અભિનેતા ગોવિંદાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
ગોવિંદાએ ખુદ આ અહેવાલનું સમર્થન કરીને પોતાની તબિયત અંગે જાણકારી આપી છે. અભિનેતા ગોવિંદા ૫૭ વર્ષના છે અને પોતે ફિટનેસની ખૂબ જ કાળજી લે છે. તેણે કહ્યું છે કે તેના લક્ષણો હળવા છે પણ તે ક્વોરેન્ટાઇન છે. પરિવારના બીજા બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેની પત્ની સુનિતા થોડાક સમય પૂર્વે જ કોરોના પોઝિટિવ થઇ હતી. અક્ષય કુમારે પણ પોતે કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરતા કહ્યું હતું કે તે પૂરી કાળજી લઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આગલા સપ્તાહે આલિયા ભટ્ટ અને સંગીતકાર બપ્પી લાહિરી, સિંગર-એન્કર આદિત્ય ઉદ્દિત નારાયણ તથા તેની પત્ની ઉપરાંત ટીવી સિરિયલ ‘અનુપમા’ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી કોરોના સંક્રમિત થયાના અહેવાલ હતા. અત્યાર સુધીમાં અભિનેત્રી મોનાલિસા, સચિન તેંડૂલકર, મિલિંદ સોમણ, રણબીર કપૂર, આમિર ખાન, સંજય લીલા ભણશાલી, વિક્રાંત મેસી, મનોજ વાજપેયી વગેરેનો સમાવેશ થાય છે.