બિઝનેસમેન સાથે લગ્નબંધને બંધાશે કરિશ્મા તન્ના

Wednesday 26th January 2022 06:48 EST
 
 

અભિનેત્રી કરિશ્મા તન્ના મુંબઇના બિઝનેસમેન વરુણ બંગેરા સાથે પાંચમી ફેબ્રુઆરીએ લગ્નબંધને બંધાશે. મુંબઇમાં જ યોજાનારા લગ્ન વિશે કરિશ્માએ તો હોઠ સીવી રાખ્યાં છે, પરંતુ સૂત્રોએ કહ્યું હતું કે લગ્નના એક દિવસ અગાઉ, એટલે કે ચોથી ફેબ્રુઆરીએ મહેંદી અને સંગીતનો કાર્યક્રમ યોજાશે, જ્યારે હલદી રસમ પાંચમી ફેબ્રુઆરીએ જ કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર સમગ્ર પ્રસંગનું ઝીણવટપૂર્વક આયોજન કરી રહેલી કરિશ્માએ લગ્ન પછીના ફંક્શનમાં દક્ષિણ ભારતીય પદ્ધતિથી તૈયાર થવાનું આયોજન કર્યું છે. તેનો મંગેતર મેંગલોરનો હોવાથી કરિશ્માએ લગ્નમાં ગુજરાતી સાથે દક્ષિણ ભારતીય વિધિનું મિશ્રણ કરવાનું નક્કી કર્યું છે.
અભિનેત્રીની એક સહેલીના જણાવ્યા મુજબ કરિશ્મા ઘણાં સમયથી પોતાના લગ્નના વસ્ત્રાભૂષણો ખરીદી રહી છે. તે પોતાના ભાવિ પતિ માટે કાંઇક ખાસ કરવા માગે છે. તેથી તેણે ગુલાબી રંગની, સોનેરી વર્ક કરેલી કાંજીવરમ્ સાડી અને દક્ષિણ ભારતીય શૈલીના ઘરેણાં ખરીદ્યાં છે. તે વિદાય પછી સાસરે જશે ત્યારે આ વસ્ત્રાલંકારો પહેરશે.
કરિશ્માની ઇચ્છા તો ધામધૂમથી પરણવા ઇચ્છતી હતી, પરંતુ કોરોનાનો કહેર વધતાં તેને આમંત્રિતોની યાદીમાં કાપ મૂકવો પડયો છે. હવે તેના લગ્નપ્રસંગે નિકટના ૫૦ સ્વજન જ ઉપસ્થિત રહેશે. કોરોનાની સ્થિતિ જોતાં કરિશ્માએ બેચલરેટ પાર્ટી પણ ટાળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter