‘હું બે વર્ષ બાદ કામ પર પાછી ફરી છું’ એમ શનિવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું. તેણે વીતેલા બે વર્ષના સમયને તેના જીવનના સૌથી કપરા કાળ તરીકે ઓળખાવ્યો છે. રિયા ચક્રવર્તી ૨૦૧૨થી અભિનેત્રી તરીકે કામ કરે છે. ૨૦૨૦માં તેનો બોયફ્રેન્ડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત હાલતમાં મળી આવ્યો એ પછી રિયા ચક્રવર્તીનું જીવન વિવાદનો વંટોળમાં ફસાયું હતું. ૨૯ વર્ષની આ અભિનેત્રીએ જીવનમાં અનેક ચડતીપડતી નિહાળી છે. સદ્ગત અભિનેતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને તેની સંપત્તિના દુરુપયોગનો સુશાંતના પરિવાર દ્વારા આરોપ લગાવાયા પછી તેણે અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રિયા સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલિંગ અને મીડિયા તપાસનો વિષય બની હતી અને ઘણાંને તો તે ‘વિચ-હન્ટ’ સમાન લાગતી હતી. સુશાંત સિંહના નિધન પછી સ્વાભાવિક રીતે જ તેણે કામમાંથી બ્રેક લેવો પડ્યો હતો. છેલ્લે રિયા ૨૦૨૧માં રિલીઝ થયેલી થ્રિલર ફિલ્મ ‘ચહેરે’માં નજરે પડી હતી. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. ‘બે વર્ષ પછી હું ગઈકાલે કામ કરવા ગઈ હતી. મારા અત્યંત કપરાં સમયમાં જે લોકો મારી પડખે ઊભા રહ્યા એ બધાંનો હું આભાર માનું છું. ગમે તે હોય, સૂર્ય કાયમ ચમકતો રહે છે. કદીય પાછો પડતો નથી.’ એમ રિયાએ ઈન્સ્ટાગ્રામમાં લખ્યું હતું. સુશાંત સિંહના પરિવારજનોએ રિયા વિરુદ્ધ સુશાંતને કથિત આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાવ્યો અને આની સાથોસાથ તેની વોટ્સએપ ચેટ્સના આધારે તેની વિરુદ્ધ ડ્રગ્સની કથિત ખરીદીની સમાંતર તપાસ શરૂ કરાઈ હતી.