અર્જુન અને મલાઈકાને પણ કોરોના
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર બાદ હવે તેની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરાએ મલાઇકાનાં પોઝિટિવ રિપોર્ટને સમર્થન આપ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. રવિવારે જ થોડા કલાકો પહેલાં અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી, જે બાદ મલાઇકા અંગે તેની બહેને વાત કરી છે. અર્જુન કપૂરે પોતે ઇન્સ્ટાગ્રામ પેજ પર કોવિડ-૧૯ પોઝિટિવ હોવાની વાત કરી છે. તેણે લખ્યું હતું કે, ‘હું કોરોના પોઝિટિવ છુ અને આપ સૌને આ જાણકારી આપવી મારું કર્તવ્ય છે....’
‘ઊલ્ટા ચશ્માના’ નટુ કાકાને ગળામાં ગાંઠ
ભારતીય ટીવીની ખૂબ જ લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના કલાકાર ઘનશ્યામ નાયક હોસ્પિટલમાં દાખલ થયા છે. તેઓ આ સીરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવી રહ્યા છે. તેમને ગળામાં તકલીફ થતાં સર્જરી કરાવવી પડે તેમ છે. વાસ્તવમાં ઘનશ્યામ નાયકે લોકડાઉન પછી શૂટિંગ શરૂ જ કર્યું નથી. તેઓ થોડા સમયથી આ શોમાં જોવા ન મળવાનું કારણ તેમના ગળાની ગ્લેન્ડસમાં તકલીફ ઉદભવી હોવાનું છે. ડોક્ટરોએ તેમને સર્જરી કરાવવાની સલાહ આપી છે.
ફિલ્મનિર્માતા જ્હોની બક્ષીનું થયું નિધન
હિન્દી ફિલ્મઉદ્યોગ માટે વર્ષ ૨૦૨૦ ખૂબ ખરાબ રહ્યું છે. એક પછી એક કેટલાય દિગ્ગજો આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે. હવે જાણીતા ફિલ્મમેકર જ્હોની બક્ષીનું શુક્રવારે મોડી રાત્રે નિધન થયું હોવાના સમાચાર છે. તેમના નિધનના ખબર સાંભળ્યા બાદ ફિલ્મ દુનિયામાં શોકનો માહોલ છે. રાજેશ ખન્ના અને ગુલશન ગ્રોવરને ચમકાવતી ફિલ્મ ખુદાઈના નિર્માતા પણ જ્હોની બક્ષી જ હતા. તેઓએ બોલિવૂડના તમામ મોટા કલાકારોની સાથે કામ કર્યું છે. જ્હોની બક્ષીએ મંઝીલ ઔર ભી હૈ, મેરા દોસ્ત મેરા દુશ્મન, ફિર તેરી કહાની યાદ આઈ, વિશ્વાસઘાત, રાવન અને ઈસ રાત કી સુબહ નહીં સહિત કેટલીય ફિલ્મોના નિર્માતા તરીકે કામ કરી ચુક્યા છે. જ્હોની બક્ષીને સિનેમાંથી ખૂબ લગાવ હતો.