મહાનાયક અમિતાભ બચ્ચને સોમવારે એક ખાનગી હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન સફળ રીતે પાર પડ્યું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને વીકએન્ડમાં બ્લોગ પર તેમની સર્જરી વિશે વાત કરીને બધાને ચિંતામાં મૂકી દીધા હતા અને સોશિયલ મીડિયા પર તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાનો ધોધ વહ્યો હતો. જોકે બિગ બીએ તેમની સર્જરીની કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
અમિતાભ બચ્ચને શનિવારે તેમના બ્લોગમાં ફક્ત એક લાઈન લખીને જાણકારી આપતા લખ્યું હતુંઃ મેડિકલ કન્ડિશન... સર્જરી... કુછ લિખ નહીં સકતા.
બિગ બીએ ટ્વિટ કર્યું હતું કે, હવે જરૂરિયાત કરતાં વધુ પડતું થઈ ગયું છે. થોડી કાપકુપથી જ સુધારો થવાનો છે. જીવનકાળની આ ગઈકાલ છે. કાલે જ ખબર પડશે કે કેમ હશે. અમિતાભનું સ્વાસ્થ્ય કથળ્યાની જાણકારી મળતાં જ તેમના ચાહકો અને સોશિયલ મીડિયાના યુઝર્સ ચિંતાતુર થઈ ગયા છે અને જલદી સારા થવાની કામના કરી રહ્યા છે.
જોકે સોમવારે તેમણે જણાવ્યું હતું કે તેમની એક આંખમાં સર્જરી થઇ હતી અને તેઓ ધીરે ધીરે રિકવર થઇ રહ્યા છે. ૭૮ વર્ષના આ સ્ટારની બીજી આંખમાં પણ સર્જરી કરવામાં આવશે.
બિગ બીએ નવા બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે તેમના માટે દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ રહ્યા છે કેમ કે અત્યારના સમયે તેઓ વાચી, લખી કે જોઇ શકે તેમ નથી. જોકે એ સ્પષ્ટ નથી કે તેમના વતીથી બ્લોગ પોસ્ટ કોણ લખે છે.
ઉલ્લેખનીય છે કે, તેમણે હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દીના બાવન વરસ પૂરા કર્યા છે. વીતેલા દિવસોમાં બિગ બીએ પોતાના ભૂતકાળને યાદ કરીને ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર મુકી હતી.