ઈન્ડસ્ટ્રીના મુન્નાભાઈ સંજય દત્તે કેન્સરને કહ્યું કે, મામુ ભાગ જા... તાજેતરના અહેવાલો પ્રમાણે સંજય દત્તે કેન્સરને ભગાડી દીધું છે. સંજય દત્તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તાજેતરમાં સૌનો આભાર માનતી એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેઓ કેન્સરમાંથી સાજા થયાં છે. ૨૧ ઓક્ટોબરે તેમના જોડકાં સંતાનો ઇકરા અને શહરાનનો જન્મદિન પણ હતો. સંજય દત્તે કહ્યું કે, સારું સ્વાસ્થ્ય તેમના પરિવાર માટે સૌથી મોટી ભેટ છે. રિપોર્ટ્સ મુજબ, સંજય ફેફસાંના કેન્સરના ત્રીજા સ્ટેજ પર હતા. છેલ્લે મુંબઇની કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. બાળકોના જન્મદિનની ઉજવણી વખતે સંજયનો પરિવાર દુબઇમાં હતો. આ અગાઉ ૧૧મી ઓગસ્ટે સોશિયલ મીડિયા દ્વારા જ સંજુએ પોતાની બીમારીની વાત જણાવી હતી. ડ્રગ્સ, અપરાધિક સંબંધો અને ફિલ્મી કરિયર વચ્ચે સંજય દત્તની જિંદગી રોલરકોસ્ટર રાઇડ જેવી રહી છે. બાળપણથી બળવાખોર રહેલા સંજયે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમની જૂની ભૂલોને તેઓ સ્વીકારે છે. જિંદગીનાં કાળાં વાદળો દૂર થઇ ગયાં છે. હવે તેઓ શાંતિની જીવવા માગે છે. સંજ્ય પત્ની માન્યતા સાથે મળીને સંજ્ય દત્ત પ્રોડક્શન્સ પ્રા. લિ નામની કંપની ચલાવે છે. આ પ્રોડક્શન હાઉસ બોલિવૂડ તથા ડિજિટલ અને ટીવી કન્ટેન્ટ પણ બનાવી રહ્યું છે.