કોરોના સામેના જંગમાં અત્યારે વેક્સિનના હથિયાર પર ખૂબ ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે આપણા દેશ સહિત સમગ્ર દુનિયામાં ૩૦ એપ્રિલ સુધી વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક ઉજવાઇ રહ્યું છે. આ સપ્તાહ ખાસ કરીને એ બાળકો પ્રત્યે સમર્પિત છે કે જેમને પોલિયો જેવી બીમારીઓથી બચાવવા માટે રસી આપવાની જરૂર છે. કોરોના કાળમાં બાળકો આ જરૂરી રસીથી વંચિત ના રહી જાય એના માટે યુનિસેફે અવેરનેસ લાવવા માટે માનુષી છિલ્લરની મદદ મેળવી છે. મેન્સ્ટ્રુઅલ હાઇજીન બાબતે અવેરનેસ લાવવા માટે સક્રિય રહેતી માનુષી બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટેના જરૂરી મેસેજને વ્યાપક સ્તરે ફેલાવવા માટે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક દરમિયાન સોશિયલ મીડિયા પર લોકોની સાથે કનેક્ટ થઇ રહી છે. માનુષી કહે છે, ‘વેક્સિન્સે બાળકોની અનેક પેઢીઓનો સ્વસ્થ રીતે ઉછેર કરવામાં મદદ કરી છે. પોલિયો સહિત અનેક ખતરનાક બીમારીઓથી તેમનું રક્ષણ કર્યું છે. જિંદગી બચાવવા માટે આપણે વધુ એક વખત વેક્સિનેશન માટે બમણો પ્રયાસ કરવો પડશે. ખાસ કરીને સૌથી અસુરક્ષિત અને સરળતાથી બીમારીની ઝપેટમાં આવતા બાળકોને રસી આપવી જ પડશે. આપણે કોઈ પણ સંજોગોમાં એવી કોશિશ કરવી પડશે કે, બાળકોને જરૂરી વેક્સિન્સ આપવામાં કોવિડ-૧૯ની રસી વ્યાપકપણે બધાને મળે એ માટે રાહ જોવાની સાથે આપણે આપણા બાળકોને એવી અન્ય બીમારીઓથી બચાવવા માટે રસી આપવાનું ના ભૂલવું જોઈએ કે જે તેમની જિંદગી માટે ગંભીર જોખમ છે.’