પ્રતિભાશાળી અભિનેતા રણદીપ હુડા વધુ એક પડકારજનક પાત્રમાં જોવા મળશે. પોતાના પાત્રો અને અભિનયથી ચાહકોના દિલમાં આગવું સ્થાન મેળવનાર રણદીપે ‘સરબજીત’માં કરેલી એક્ટિંગ અને મહેનતની લોકોએ ભરપૂર પ્રશંસા કરી હતી. હવે તે વીર સાવરકરની બાયોપિકમાં જોવા મળશે. નિર્માતા આનંદ પંડિત અને સંદીપ સિંહે તેમની ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’માં લીડ રોલ માટે તેનું નામ સાઈન કર્યું છે, અને ફિલ્મનું કામ પણ શરૂ થઇ ગયું છે. સંદીપે અગાઉ રણદીપ સાથે ‘સરબજીત’માં કામ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ લંડન, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના વિવિધ સ્થળોએ કરવામાં આવશે. આ ફિલ્મ ભારતના સ્વતંત્રતા ચળવળને એક અલગ દૃષ્ટિકોણથી ફિલ્મી પરદે રજૂ કરશે.
વીર સાવરકરની આ અનટોલ્ડ સ્ટોરીનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર કરશે. રણદીપે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘આપણને આઝાદી અપાવવામાં ઘણા નાયકોનું યોગદાન છે. જોકે, બધાને તેમનો હક મળ્યો નથી. વિનાયક દામોદર સાવરકર પણ આવા જ એક નાયક છે, જેમના માટે સૌથી વધુ ગેરસમજ પ્રવર્તે છે. વિવાદાસ્પદ છતાં પ્રભાવશાળી આ નાયકની જીવનકથા લોકો જાણે તે આવશ્યક છે. હું સંદીપ સાથે ‘સરબજીત’ પછી સ્વતંત્ર વીર સાવરકર માટે કામ કરીને ખુશ છું. આ ભૂમિકા ભજવવી પડકારજનક હશે.’