આજકાલ બોલિવૂડમાં એક પ્રશ્ન ચર્ચાના ચોતરે ચઢ્યો છેઃ રણબીર અને આલિયા આવતા મહિને પરણી રહ્યા છે? કપૂર પરિવાર કે ભટ્ટ પરિવારે આ મામલે મગનું નામ મરી પાડ્યું નથી, પણ અહેવાલ તો કંઇક આવા જ છે. વારંવાર લગ્નની તારીખ બદલાયા પછી હવે ફરી નવી તારીખ ચર્ચામાં છે. આ વખતે સમાચાર એવા છે કે રણબીર - આલિયા એપ્રિલ મહિનાની 22 અને 24 તારીખ વચ્ચે સિમલામાં લગ્નગ્રંથિથી જોડાઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ લગ્નપ્રસંગનો ઓર્ડર મળ્યો છે તેવા વીડિયોગ્રાફરના એક સંબંધીએ એક વેબસાઇટ સાથેની વાતચીતમાં આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટના 29મા જન્મદિવસે જ આ સમાચાર બહાર આવ્યા હોવાથી અનેક લોકોનું માનવું છે કે આ વાત સાચી હોવાની પૂરી શક્યતા છે કેમ કે ગયા વર્ષે રણબીરના જન્મદિવસે જ આ બન્નેએ પોતાના સંબંધો વિશે ટ્વિટર પર જાહેરાત કરી હતી. વળી, અત્યારે વહેતી થયેલી વાતને રણબીરે કે આલિયાએ કોઇ રદિયો પણ આપ્યો નથી. તાજા રિપોર્ટના અનુસાર, બન્ને પરિવારમાં લગ્નની તૈયારી થઇ રહી છે. આલિયા અને રણબીરના લગ્ન ગયા વરસે જ થવાના હતા. પરંતુ કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે લગ્ન લંબાઇ ગયા હતા. દરમિયાન, આલિયાના બર્થ-ડે પ્રસંગે રણબીરની માતા નીતુ કપૂરે જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં આલિયા સાથેની પોતાની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.