વિકી અને કેટરિના બાદ બોલિવૂડમાં સૌથી મોટો લગ્નપ્રસંગ આવતા રવિવારે યોજાઇ રહ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીરના મેરેજની તારીખો અંગે લાંબી અટકળો બાદ આખરે કન્ફર્મ ડેટ બહાર આવી છે. આલિયાના કાકા અને રાઈટર રોબિન ભટ્ટે મેરેજ અંગે અપડેટ આપવાની સાથે રિસેપ્શનની તારીખ પણ જણાવી છે. મેરેજ ફંક્શન 14 એપ્રિલથી શરૂ થઈ જશે અને ચાર-પાંચ દિવસ જલ્સો ચાલશે. બંનેના મેરેજ ચેમ્બુર ખાતેના આર.કે. હાઉસમાં પંજાબી રીત-રિવાજ મુજબ થશે. ઉલ્લેખનીય છે કે, રણબીરના પિતા રિશી કપૂરે પણ નીતુ કપૂર સાથે ચેમ્બુરના આ બંગલોમાં જ લગ્ન કર્યા છે. તેથી જ રણબીર માટે આ ઘરનું વિશેષ મહત્ત્વ છે. તે પોતે પણ પોતાની દાદીની બહુ નજીક હતો. દાદી કૃષ્ણા રાજ કપૂર સાથે રણબીરે આ બંગલામાં ઘણો સમય પસાર કર્યો છે. આલિયાના નાનાજી એન. રાઝદાનની તબિયત સારી રહેતી ન હોવાથી આ પ્રેમી યુગલ જલદી લગ્ન કરી રહ્યું છે. આલિયાના નાનાને રણબીર ખૂબ જ પસંદ છે અને તેઓ ઇચ્છે છે કે, તેમની હાજરીમાં આ લગ્ન થાય. આ પ્રેમી યુગલે હાલમાં જ વારાણસીમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પુરુ કર્યું છે. રિપોર્ટના અનુસાર, યુગલ સાદાઇથી લગ્ન કરવાનું છે. જેમાં તેમના પરિવારજનો અને ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. લગ્ન પછી આલિયા અને રણબીર હનીમૂન માટે વેકેશન લેવાના નથી. તેઓ પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત થઇ જવાના છે.
17મીએ લગ્ન, 18મી રિસેપ્શન
નવદંપતી 17મીએ રાત્રે સાત ફેરા ફરશે અને બીજા દિવસે - 18 એપ્રિલે મુંબઈમાં રિસેપ્શન યોજાશે. મેરેજ માટે બંને સ્ટાર્સે સબ્યસાચીના ડિઝાઈનર ડ્રેસ સિલેક્ટ કર્યા છે. મેરેજમાં ભલે ઓછા ગેસ્ટ્સને ઈનવાઈટ કર્યા હોય, પરંતુ આલિયા અને રણબીર આઉટફિટમાં કોઈ કસર રાખવા માગતા નથી. રોબિન ભટ્ટે કહ્યું હતું કે, મેરેજમાં કેટલા ગેસ્ટ આવશે તેની કોઈ જાણકારી નથી કારણ કે તેઓ પોતે પણ એક ગેસ્ટ જ છે. તેમને તો મહેશ ભટ્ટ અને સોની રાઝદાને એપ્રિલની શરૂઆતમાં જ 17 - 18 એપ્રિલે મેરેજ માટે તૈયાર રહેવા કહી દીધુ હતું.
લગ્ન પછી લંગર સેવા
નવદંપતી લગ્ન પછી ગુરુદ્વારામાં લંગર સેવા પણ આપશે. કપૂર ખાનદાના રિવાજના અનુસાર, લગ્ન પછી નવવિવાહિત યુગલ ગુરુદ્વારામાં લંગર આપતું હોય છે. ભૂતકાળમાં રિશી કપૂર અને નીતુ સિંહે પણ ગુરુદ્વારામાં લંગર આપ્યું હતું. હવે આ જ પ્રથાને અનુસરીને રણબીર કપૂર અને આલિયા પણ લંગર સેવા આપશે. યુગલના નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, રણબીર અને આલિયા પંજાબી વિધીથી લગ્ન કરવાના છે. પંજાબીઓના લગ્નના રિવાજના અનુસાર દુલ્હા-દુલ્હને ગુરુદ્વારામાં લંગર સેવા આપવાનું હોય છે. યુગલ જૂહુ અને બાંદરાની વચ્ચે આવનારા ગુરુદ્વારામાં લંગર સેવા આપશે. તેઓ વ્યક્તિગત તો ગુરુદ્વારામાં જશે નહીં, પરંતુ તેમના નામની પ્રાર્થના કરાશે અને લોકોને ભોજન આપવામાં આવશે.
રણબીરની બેચલર્સ પાર્ટી
રણબીર કપૂર લગ્ન પહેલા એક બેચલર્સ પાર્ટીનું પણ આયોજન કરવાનો છે. જેમાં બોલીવૂડના તેના ખાસ મિત્રો અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર, અયાન મુખર્જી, કરણ જોહર તેમજ અન્યોને આમંત્રણ અપાયા છે. આ ઉપરાંત રણબીરના બાળપણના મિત્રોને પણ આ પાર્ટીમાં નિમંત્રણ આપવામાં આવ્યું છે.
વેડિંગ ટીમ માટે આકરી શરતો
મેરેજ સેરેમની માટે દંપતીએ વેડિંગ ટીમ માટે સંખ્યાબંધ શરતો રાખી છે. મેરેજના કોઈ ન્યૂઝ કે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા કે મીડિયા સુધી ન પહોંચે તે માટે વેડિંગ ટીમ પાસે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઈન કરાવાયું છે. બેન્કવેટ હોલમાં પણ સંખ્યાબંધ શરતો રખાઈ છે અને તેના કારણે રિલેટિવ્સ પણ છૂટથી મસ્તી નહીં કરી શકે એમ લાગે છે. મેરેજની તૈયારી કરી રહેલી વેડિંગ ટીમને ખાસ તાકિદ કરાઈ છે કે, કોઈ પણ ફોટો કે ન્યૂઝ લીક થવા જોઈએ નહીં. લગ્નપૂર્વેની વિધિ માટે રણબીરે પોતાના બિલ્ડિંગમાં જ બેન્કવેટ હોલ બુક કરાવ્યો છે. બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે શોરબકોર ન થાય તેની કાળજી રખાશે. ચાર-પાંચ દિવસના ફંક્શનમાં બેચલર પાર્ટી, મહેંદી, પીઠી વગેરેનો પણ સમાવેશ થાય છે.