ગુજરાતી રંગભૂમિમાં વર્ષો સુધી કામ કર્યા બાદ 2012માં ગુજરાતી સુપર હિટ મૂવી ‘કેવી રીતે જઈશ’માં એક્ટર તરીકે કામ કરનાર દિવ્યાંગ ઠક્કર રણવીરસિંહ સ્ટારર મૂવી ‘જયેશભાઈ જોરદાર’ના રાઈટર અને ડાયરેક્ટર છે. 13મેના રોજ રિલીઝ થઇ રહેલી આ મૂવીના ગુજરાતી દિગ્દર્શકે એક્ટરમાંથી રાઈટર અને ડાયરેક્ટર સુધીની જર્ની વિશે વાત કરી હતી. ‘જયેશભાઈ જોરદાર’ મૂવીમાં એક ગુજરાતી સરપંચના દીકરાની વાત છે જે જેન્ડર ઈક્વાલિટી વિશે વાત કરી રહ્યો છે. ફિલ્મમાં રણવીરનો જરા હટકે રોલ લોકોને આકર્ષે તેવો છે. દિવ્યાંગ ઠક્કર કહે છે કે ‘જયેશભાઈ જોરદાર’ના સેટ પર રણવીરસિંહને મેં ઘણી ખરી ગુજરાતી ભાષા શીખવી છે. મને આ ફિલ્મની સ્ટોરી લખતા દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. આજે ઓટીટી અને સોશિયલ મીડિયાને કારણે પારિવારિક સંબંધો ભંગાણના આરે પહોંચી રહ્યા છે ત્યારે મેં આ ફિલ્મ થકી ગુજરાતી લોકોની એક જ કુટુંબમાં જે પારિવારિક લાગણીઓ રહેલી છે તેને લોકો સમક્ષ રજૂ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મમાં ગુજરાતના અજાણ્યા સ્થળોને સ્થાન
દિવ્યાંગ ઠક્કરે કહ્યું કે, ‘મને ટ્રાવેલિંગ કરવાનો ખૂબ શોખ છે જેના કારણે હું ગુજરાતના નીતનવા સ્થળોએ ફરતો રહું છું. મારા આ પ્રવાસમાં મેં જોયું હતું કે ગુજરાતમાં ઘણા એવા સ્થળો છે જેની લોકોને ખબર જ નથી. આથી મેં ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મમાં ગુજરાતના એવા લોકેશન પસંદ કર્યા છે કે જેને થિયેટરમાં જોઈને લોકો આશ્ચર્ય સાથે પૂછે કે આ સ્થળ ગુજરાતમાં આવ્યું છે? ફિલ્મ થકી મેં ગુજરાતના અનએક્સપ્લોર સ્થળોને એક્સ્પ્લોર કરવાનો પ્રયાસ કર્યો છે.