જાણીતી ફિલ્મ અભિનેત્રી રાણી મુખરજી આજકાલ આત્મકથા લખવામાં વ્યસ્ત છે. આ આત્મકથા આવતાં વર્ષે માર્ચમાં તેના જન્મદિન નિમિત્તે પ્રગટ કરવાનું તેનું આયોજન છે. ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી અલવિદા ના કહેના’ તથા ‘વીર ઝારા’ જેવી ફિલ્મો સાથે રાણીએ ટોચની હિરોઈનમાં સ્થાન મેળવ્યું હતું. તેણે બોલીવૂડનાં સૌથી મોટાં બેનર ગણાતાં યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે બહુ સિક્રેટ રીતે ઈટલી પહોંચીને લગ્ન કર્યાં હતાં તેની પણ બહુ ચર્ચા થઈ હતી. રાણીની ‘બંટી ઔર બબલી’ ફિલ્મ બહુ સફળ ગઈ હતી, પરંતુ થોડા મહિના પહેલાં આવેલી આ ફિલ્મની સિકવલ સાવ નિષ્ફળ ગઈ હતી. રાણી સાથે અનેક વિવાદો પણ જોડાયેલા છે. સેટ પર બોલાચાલી તથા ગોવિંદા જેવા કલાકારો સાથે તેનું નામ જોડાયેલું હોવા સહિતના કિસ્સા આત્મકથામાં હશે કે કેમ તે અંગે અટકળો ચાલે છે. જોકે, એક દાવા અનુસાર રાણી બહુ નિખાલસ અને પ્રમાણિક રીતે આ આત્મકથા લખી રહી છે અને તેમાં તેની કારકિર્દીનો પારદર્શી ચિતાર મળશે.