રામાયણ અને મહાભારત પર આધારિત અનેક ફિલ્મ્સની જાહેરાત કરવામાં આવી છે. જાણીતા ફિલ્મમેકર નિતેશ તિવારી પણ રામાયણના નવા વર્ઝનને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. જેને મધુ મન્ટેના દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે. રામાયણ પર આધારિત ત્રણ ફિલ્મ્સની આ ટ્રાયોલોજીને ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. હવે કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રાયાલોજીમાં અનુક્રમે રાવણ અને ભગવાન શ્રીરામના પાત્રો ભજવનારા રિતિક રોશન અને રણબીર કપૂર બંનેને ૭૫-૭૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. બજેટના બાકી રૂપિયા એના મેકિંગ દરમિયાન ખર્ચાશે. રામ અને રાવણને કાસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી આ મહાત્વકાંક્ષી ટ્રાયોલોજી માટે સીતામાતાના પાત્ર માટે કોઈની પસંદગી થઈ નથી. આ પાત્ર કરીના કપૂર ખાનને ઓફર કરવામાં આવ્યું હોવાની અફવા હતી. જોકે, એ સદંતર ખોટી છે. દરમિયાનમાં કરીનાના જીવનસાથી સૈફ અલી ખાનને બીજી એક ફિલ્મમાં રાવણના પાત્ર માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. રામાયણ પર આધારિત ‘આદિપુરુષ’ નામની આ ફિલ્મને ઓમ રાઉત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.