રિયા ચક્રવર્તીઃ ‘ચહેરે’માં હતી, છે અને રહેશે

Thursday 25th March 2021 06:08 EDT
 
 

નિર્માતા આનંદ પંડિતની આગામી ફિલ્મ ‘ચહેરે’માં રિયા ચક્રવર્તી છે કે નહીં તે મુદ્દે છેલ્લા લાંબા સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવ્યો છે. નિર્માતાએ લોન્ચ કરેલા ફિલ્મના ટ્રેલરમાં રિયા જોવા મળી રહી છે. અત્યાર સુધી નિર્માતાએ રિયા આ ફિલ્મનો હિસ્સો છે કે નહીં તે બાબતે ચૂપકીદી સેવી હતી. જોકે હવે તેમણે યોગ્ય સમયે પોતાના તરફથી સ્પષ્ટતા કરીને  ટીકાકારોના મોઢા બંધ કરી દીધા છે. એટલું જ નહીં, આનંદ પંડિતે રિયા બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તે આ ફિલ્મનો હિસ્સો છે કે નહીં તે મુદ્દે શંકાને કોઇ સ્થાન હતું જ નહીં. રિયા ફિલ્મનો હિસ્સો હતી, છે અને રહેશે. તે મારી ફિલ્મ ‘ચહેરે’માં કામ કરી રહી છે. બોલિવૂડમાં સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ફિલ્મ નિર્માતા પબ્લિક - દર્શકોનો મૂડ તેની ફિલ્મની તરફેણમાં રહે તેમજ ઇચ્છતો હોય છે અને આથી જ કોઇ કલાકાર કોઇ મામલે વિવાદમાં સપડાઇને લોકરોષનું નિશાન બને છે કે તરત જ તેને પોતાની ફિલ્મમાંથી હટાવી દે છે. આખરે તો મામલો બોક્સ ઓફિસની સફળતાનો હોય છે. જોકે આનંદ પંડિત નોખી માટીના નીકળ્યા. તેમણે સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસથી માંડી ડ્રગ્સ કેસમાં રિયાની ભરપૂર બદનામી થવા છતાં તેને ફિલ્મમાંથી પડતી મૂકી નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter