મુંબઇ: જાણીતા અભિનેતા રિશિ કપૂરનું મુંબઇની હોસ્પિટલમાં ૩૦મી એપ્રિલે સવારે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા. અભિનેતા ૨૦૧૮માં લ્યુકેમિયા (બ્લડ કેન્સર)નો ભોગ બન્યા હતા. અમેરિકામાં સારવાર બાદ રિશિ કપૂર ભારત આવ્યા હતા. તેમની તબિયત નરમ - ગરમ રહ્યા કરતી હતી. તેઓની તબિયત ૨૯મી એપ્રિલે રાતના સમયે બગડતાં તેમને એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્રણ મહિના પહેલા તેમનાં બહેન રિતુ નંદા પણ કેન્સરથી જ અવસાન પામ્યાં હતાં.
રિશિ કપૂરના અવસાન વખતે નીતુ, રણબીર, કરીના, સૈફ, રણધીર, રાજીવ અને આલિયાને હોસ્પિટલમાં હાજર રહેવાની પરવાનગી અપાઈ હતી. પરિવાર બહારના લોકોમાંથી ફક્ત અભિષેક બચ્ચનને જ હાજર રહેવા દેવાયો હતો.
૩૦મીએ રિશિ કપૂરે અંતિમ શ્વાસ લીધા તેના સમાચાર તેમના મોટા ભાઈ અને અભિનેતા રણધીર કપૂરે આપ્યાં હતાં. લોકડાઉનને ધ્યાનમાં રાખીને રિશિ કપૂરના મૃતદેહને હોસ્પિટલથી સીધો જ મરિન લાઇન્સના ચંદનવાડી સ્મશાન ઘાટ લઈ જવાયો હતો અને તેમના ઈલેક્ટ્રીક મશીનથી તેમનાં અંતિમ સંસ્કાર કરાયા હતા. લગભગ અડધા કલાકમાં જ તેમના અંતિમ સંસ્કાર થયાં હતાં. રિશિ કપૂરના મૃત્યુ પછી અમિતાભ બચ્ચને સૌપ્રથમ ટ્વિટ કરીને રિશિ કપૂરને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
કોવિડ ૧૯ના કારણે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાથી રિશિ કપૂરની અંતિમ ક્રિયામાં ૨૪ જ વ્યક્તિઓને સામેલ થવાની મંજૂરી આપાઈ હતી. રિશિની અંતિમ ક્રિયા વખતે તેમના પત્ની નીતુ, પુત્ર રણબીર, મોટા ભાઈ રણધીર કપૂર, નાના ભાઈ રાજીવ કપૂર, આલિયા ભટ્ટ, ભત્રીજી કરીના કપૂર, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અનિલ અંબાણી, આદર જૈન, મનોજ જૈન, અરમાન જૈન, અનિશા જૈન, વિમલ પારેખ, અયાન મુખર્જી, રાહુલ રવૈલ, નતાશા નંદન, રોહિત ધવન હાજર રહ્યા હતા. રિશિના અંતિમ સંસ્કાર દરમિયાન મરિન લાઇન્સ બ્રિજ પર લોકોની ભીડ જામી હતી જેને હટાવવા પોલીસ પણ પરેશાન થઇ ગઇ હતી. પોલીસ વારંવાર માઇક દ્વારા ઘોષણા કરી રહી હતી, પરંતુ ભીડ કાબૂમાં આવી નહોતી.
રિશિની પુત્રી રિદ્ધિમા કપૂર સહાની દિલ્હી હોવાથી પિતાની અંતિમક્રિયામાં પહોંચી શકી નહીં. તેણે ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઇ આવવાની તૈયારી કરી હતી, પરંતુ ડીજીસીએથી તેને પરમિશન મળી નહીં. દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ હોવાથી બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં રિશિનાં અંતિમ સંસ્કાર કરવા જરૂરી હતા. પરિણામે પુત્રીની ગેરહાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનય ક્ષેત્રે બહોળું યોગદાન આપનાર કપૂર ખાનદાનની ત્રીજી પેઢીના પુત્ર રિશિના પરિવારમાં પત્ની નીતુ કપૂર, પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સહાની છે.
રિશિ કપૂર (ચિંટુ)નો જન્મ ૪ સપ્ટેમ્બર, ૧૯૫૨ના રોજ મુંબઇના ચેમ્બુરમાં થયો હતો. શોમેન રાજ કપૂરના ત્રણમાંથી તેઓ વચેટ પુત્ર હતા. રિશીની કારકિર્દી ૧૯૭૩થી શરૂ થઇ હતી. પોતાની કારકિર્દીમાં રિશિ કપૂરે ૯૨ ફિલ્મોમાં કામ કર્યું છે જ્યારે સોલો લીડ એકટર તરીકે તેમણે ૫૧ ફિલ્મોમાં અભિનય આપ્યો છે. કારકિર્દીની શરૂઆતમાં તેમની ઇમેજ રોમેન્ટિક હીરોની હતી, પરંતુ પીઢ વયે તેમણે ઉમદા ચરિત્ર અભિનય પણ આપ્યો હતો. પત્ની નીતુ સાથે તેમણે ૧૨ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘આ અબ લોટ ચલે’થી તેમણે દિગ્દર્શન પર પણ હાથ અજમાવ્યો હતો. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ નિષ્ફળ ગઇ હતી.
લોકડાઉનમાં રિશિ તેમના ગીત ‘હમ તુમ એક કમરે મેં બંધ હો’થી વારંવાર યાદ કરાઈ રહ્યાં છે. લોકડાઉનમાં રિશિ કપૂરની પહેલી ફિલ્મ ‘બોબી’નું આ લોકપ્રિય ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ પણ થયું છે. ગીત વાઈરલ થતાં રિશિએ પણ કહ્યું હતું કે, ૧૯૭૪માં આવેલી ‘બોબી ફિલ્મનું આ ગીત આટલા વર્ષો પછી કોરોનાના સંદર્ભમાં ફરી લોકો યાદ કરશે એની કલ્પના જ નહોતી.
યુવાપ્રેમીઓની કથા ધરાવતી ફિલ્મ ‘બોબી’માં આ ગીત રિશિ કપૂર અને ડિમ્પલ કાપડિયા પર ફિલ્માવાયું હતું. આ ગીતનું શૂટિંગ કાશ્મીરના પહેલગામમાં થયું હતું. અત્યારે લોકડાઉનમાં બધાએ ઘર બેસવું પડે છે એ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર આ ગીત ખૂબ જ વાઈરલ થયું હતું. આ ગીતના શબ્દો આનંદ બક્ષીએ લખ્યા હતા અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીએ આપ્યું હતું. ‘બોબી’ ફિલ્મના સંગીતની તૈયારી થતી હતી એ પહેલા સંગીતકાર લક્ષ્મીકાંતે જૂહુમાં નવો બંગલો બંધાવ્યો હતો. બંગલો તૈયાર થતા તેણે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં આનંદ બક્ષી અને અન્ય એક ફિલ્મી હસ્તીઓ હાજર હતી. બંગલામાં કેટલાક રૂમ હતા. લક્ષ્મીકાંત મહેમાનોને દેખાડતા હતા. કોઈ બોલ્યું કે ભૂલભૂલામણી જેવા આ બંગલાનો દરવાજો બંધ થઈ જાય અને ચાવી ખોવાઈ જાય તો શું થાય? આ પરથી આનંદ બક્ષીને ગીતનું મુખડું મળી ગયું. 'હમ તુમ એક કમરે મે બંધ હો...' પછી રાજ કપૂરે આ ગીતનું અદ્ભુત ફિલ્માંકન કર્યું હતું.