મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી. હંસિકાએ છૂટાછેડાની અરજીમાં ખાસ કરીને સ્ત્રીધન તેમજ ભરણપોષણ માટે પણ કોઇ ડિમાન્ડ રાખી નહોતી. ચાર વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. લગ્નના બે વરસ પછી યુગલ અલગ રહેવા લાગ્યું હતું અને તેના બે વરસ પછી છૂટાછેડા પણ લઇ લીધા છે. દંપતીને કોઇ સંતાન નહોતું. લગ્ન પછી થોડો સમય સુધી પતિ-પત્ની સાથે રહ્યા હતા, પરંતુ ધીરે-ધીરે તેમને લાગ્યું હતું કે તેમના સ્વભાવ, વિચારો અને જીવનશૈલીમાં બહુ જ અંતર છે જેના કારણે તેમના વચ્ચે મતભેદ થવા લાગ્યો હતો. થોડા સમય પછી તો નાની નાની બાબતો પર ઝગડા થવા લાગ્યા હતા. એક છત નીચે તેમનું સાથે રહેવાનું મુશ્કેલ થઈ ગયું હોવાથી તેમણે અલગ રહેવાનો નિર્ણય લીધો હતો.
હંસિકા અને સોહેલના પરિવારે બન્ને વચ્ચે સુલેહ કરાવાના ઘણા પ્રયાસ કર્યા હતા. તેમના કોમન મિત્રો પણ નહોતા ઇચ્છતા કે યુગલ અલગ થાય, પરંતુ દરેકના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. અંતે બન્નેએ લગ્નજીવનનો અંત આણવાનો નિર્ણય લીધો હતો.


