છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાથી સંક્રમિત સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર જલદીથી સાજા થઈને પરત ફરે તે માટે દેશમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. આ વચ્ચે સિગિંગ રિયાલિટી શો સારેગામાપાના મંચ પર પણ હવન દ્વારા લતાદીદીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. શંકર મહાદેવન્, આનંદજી વિરજી શાહ અને સારેગામાપાના સ્પર્ધકોએ મહાન ગાયિકા લતા મંગેશકર ઝડપી સાજા થાય એ માટે સેટ પર એક હવન કર્યો હતો. આ હવનમાં શોના સ્પર્ધકો પણ જોડાયા હતા. મહાન ગાયિકાની સુખાકારીની પ્રાર્થના કરતા, શંકર મહાદેવને કહ્યું હતું કે, ‘અમે પ્રાર્થના કરીએ છીએ કે, અમારી બધી જ સકારાત્મક ઊર્જા બ્રહ્માંડમાં પહોંચે અને આપણી સરસ્વતી, લતા મંગેશકરજી સાજા-સારા ઘરે પરત ફરે.’ દરમિયાન તેમની સારવાર કરતા તબીબોના જણાવ્યા મુજબ હવે લતાજીની તબિયત સુધારા પર છે.