40 વર્ષથી નાટ્યક્ષેત્રે સંકળાયેલાં કેતકીબહેન દવે યુકેના પ્રેક્ષકો માટે એક સુંદર નાટક ‘પત્ની પ્રીમિયર લીગ’ લઈને 3 જુલાઈથી આવી રહ્યાં છે. તેમની આ યુકે મુલાકાત દરમિયાન તેઓ આ નાટકના 8 શો કરશે અને આપણા ગુજરાતી યુકેનિવાસીને મન ભરીને હસાવશે. કંઈક નવું અને જીવનમાં ઉપયોગી વિષય સાથે નાટક કરવા માટે જાણીતાં કેતકીબહેન 16 વર્ષની ઉંમરથી નાટ્યક્ષેત્રે કાર્યરત્ છે, તેમની આ જ મહેનતથી ભરેલી સફર તેમને બોલિવૂડમાં પણ ખેંચી ગઈ અને ત્યાં પણ તેમણે તેમનો અભિનયનો ઓજશ પાથર્યો છે.
અજિત વાચ્છાનીએ ડિરેક્ટ કરેલા નાટક ‘જીવનસાથી’થી નાટ્યક્ષેત્રે પદાર્પણ કર્યા બાદ કેતકીબહેને ‘ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો’ને જીવનમંત્ર બનાવતાં ક્યારેય પાછું વળીને જોયું નથી. કારકિર્દી દરમિયાન આશરે 35 નાટકોમાં અભિનય આપી ચૂકેલાં કેતકીબહેને જણાવ્યું કે, ‘હજારો શો કર્યા, જેમાં અમેરિકા, લંડન, દુબઈ, આફ્રિકામાં પણ નાટકોના શો કર્યા. ગુજરાતની બહાર જોવા જઈએ તો અમેરિકામાં અત્યાર સુધી નાટકોને સૌથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. હવે જ્યારે અમે ‘પત્ની પ્રીમિયર લીગ’ નાટક લઈને યુકે જઈ રહ્યા છીએ, ત્યારે આશા રાખું કે અહીંથી પણ અમારા નાટક અને મને પ્રેક્ષકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે.
અત્યાર સુધીમાં મારા અન્ય એક નાટક ‘પત્ની નચાવે તેને કોણ બચાવે’ને પણ ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. જો કે મને મારા અન્ય એક નાટક ‘તકદીરનો તકાજો’ કરવાની ખૂબ મજા આવી ગઈ, જેમાં એક યુવાન યુવતીથી તેના 60થી 62 વર્ષની થવા સુધીની કહાની વણી લેવામાં આવી હતી. આ સિવાય ‘હું રીમા બક્ષી’ નાટકમાં મેં ભજવેલી ભૂમિકા મને ખૂબ ગમી છે. આ સિવાય હિન્દી ફિલ્મ ‘આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા’માં ભજવેલી ભૂમિકા પણ મારા માટે ખૂબ યાદગાર રહી છે. જો કે ઝી ટીવીની એક સિરિયલ ‘હસરતેં’ મને અંગત રીતે ખૂબ પસંદ પડી હતી, કારણ કે તે વાસ્તવિક જીવનધોરણની છબિ પ્રસ્તુત કરતી હતી, જેમાં મેં 60થી વધુ એપિસોડમાં ભૂમિકા ભજવી હતી. આ સિવાય ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં ભજવેલું દક્ષાબહેન હિંમત વિરાણીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં મારા ડાયલોગ ‘અરરર...’થી હું ખૂબ ફેમસ થઈ હતી.
મારાં માતા સરિતાબહેન જોશીને હું નાનપણથી ગુજરાતી અને મરાઠી નાટ્યક્ષેત્રે કામ કરતાં જોતી આવી છું અને તેમનાં દ્વારા મળેલી પ્રેરણાથી જ હું નાટ્ય અને ફિલ્મક્ષેત્રે આવી છું. તેમને જોઈને હું બેકસ્ટેજ કામ કરવાની સાથે નાના-નાના શો કરતી થઈ હતી.
હું ભવિષ્યમાં પણ કોમેડી ભૂમિકા જ ભજવવાનું પસંદ કરું છું. હું લોકોને અને ખાસ કરીને મહિલાઓને આનંદ આપવાની સાથે જીવનની શીખ આપવા માગું છું અને લોકોનો સ્ટ્રેસ દૂર કરવા માગું છું. યુકે-લંડનમાં રહેતા આપણા ગુજરાતીઓ ઉદ્યમી છે, પરંતુ આ સાથે તેમણે તેમનાં બાળકો સાથે ગુજરાતી નાટકો જોવાં જોઈએ. આપણે ગુજરાતી નાટકો એટલે જોવાં જોઈએ કે તે આપણી સંસ્કૃતિ અને ભાષા સાથેનો એક જીવંતસેતુ છે. મને ગર્વ છે કે 40થી 50 વર્ષ પહેલાં યુકેમાં સ્થાયી થયેલા લોકો ઘરમાં ગુજરાતી સંસ્કૃતિ ખૂબ સારી રીતે સાંચવીને રાખે છે, પરંતુ નાટકો દ્વારા આપણી સંસ્કૃતિની અને શબ્દ વૈભવ સાથે લાગણીથી સંકળાયેલા રહે. આ જ કારણે અમે નાટકો લઈને યુકેની ભૂમિ પર આવતા રહીએ છીએ. અમે મનોરંજન સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા મુદ્દાઓ અને સંદેશ પણ આપતા રહીએ છીએ.


