બોલિવૂડના પોપ્યુલર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની ચિરવિદાય બાદ હવે બીજા કોમેડિયન પરાગ કંસારાનું નિધન થયું છે. વડોદરામાં રહેતાં અને ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક પરાગ કંસારાનું નિધન થયું હોવાના અહેવાલ છે. પરાગ કંસારાના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. સુનીલ પાલે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ કહે છે કે, ‘હેલો મિત્રો... કોમેડીના ક્ષેત્રમાંથી વધુ એક આઘાતજનક સમાચાર આવ્યા છે. અમારા લાફ્ટર ચેલેન્જ પાર્ટનર પરાગ કંસારા હવે આ દુનિયામાં નથી. ‘દરેક વસ્તુની વિરુદ્વ વિચાર કરો’ એમ કહીને તેઓ આપણને હસાવતા હતા. પરાગભૈયા હવે આ દુનિયામાં નથી. ખબર નથી કોમેડીની દુનિયાને કોની નજર લાગી ગઇ છે. આપણે થોડા દિવસ પહેલા જ રાજુભાઇને ગુમાવ્યા છે. આપણે એક પછી એક કોમેડીના સ્તંભ ગુમાવી રહ્યા છીએ.’
ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડ અપ કોમેડિયનને ટીવી શોમાં સ્ટેજ આપવાનું કામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જે’ કર્યું હતું. તેની પહેલી જ સિઝનમાં પરાગ કંસારા છવાઇ ગયા હતા. કોમેડી શોમાં જાણીતા બનેલા પરાગ કંસારા વડોદરામાં રહેતા હતા. પાછલા લાંબા સમયથી તેઓ કોમેડી શોથી દૂર રહ્યા હતા, પરંતુ તેમના પ્રશંસકોની સંખ્યા ઘટી ન હતી.