એક્ટ્રેસ કરિશ્મા કપૂર તથા અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો જગજાહેર છે. બંને સગાઈના માત્ર ચાર જ મહિનામાં અલગ થઇ ગયા હતા. બંને અલગ કેમ થયા તે અંગે અનેક તર્કવિતર્ક થયા હતા, પરંતુ સાચું કારણ આજ દિન સુધી સામે નહોતું આવ્યું. હવે પહેલી જ વાર ડિરેક્ટર સુનીલ દર્શને આ બંનેના સંબંધો અંગે વાત કરી છે.
સુનીલ દર્શને કહ્યું હતું કે બંનેએ સગાઈ કરી હતી અને લગ્ન કરવાના હતા. તેમણે સગાઈમાં હાજરી પણ આપી હતી. બબીતા કપૂરને કારણે તેઓ કપૂર સિસ્ટર્સ (કરિશ્મા-કરીના)ની ઘણાં જ નિકટ છે. અભિષેક તથા કરિશ્મા માટે 'હાં મૈંને ભી પ્યાર કિયા' સ્પેશિયલ મૂવી હતી. કરિશ્મા તથા અભિષેકે પહેલી ને છેલ્લી વાર આ એક જ મૂવીમાં સાથે કામ કર્યું છે. પછી તેમણે ક્યારેય કોઈ ફિલ્મ સાથે કરી નથી.
આ ફિલ્મ સુનીલ દર્શને ડિરેક્ટ કરી હતી. સુનીલ દર્શને આગળ કહ્યું હતું કે ફ્લ્મિના શૂટિંગ દરમિયાન તેમના ધ્યાનમાં એક બાબત આવી હતી. બંનેને જોઈને લાગતું હતું કે તેઓ એકબીજા માટે બન્યા નથી. સેટ પર બંને સતત ઝઘડતા રહેતા હતા. તેમને નવાઈ લાગતી કે આ બંને સાથે છે. અભિષેક ઘણો જ સ્વીટ છે અને કરિશ્મા પણ સારી છે. જોકે, કેટલાંકના નસીબમાં સાથે રહેવાનું લખાયેલું હોતું નથી. નોંધનીય છે કે કરિશમા તથા અભિષેકે 2002માં અમિતાભના 60મા જન્મદિવસ (11 ઓક્ટોબર)ના રોજ સગાઈની જાહેરાત કરી હતી. જોકે, સગાઈના ચાર મહિના બાદ જ બંને અલગ થઈ ગયા હતા.