અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી એ પછી બોલિવૂડમાં નેપોટિઝમ મામલે ઘણા લોકોએ પોતાની આપવીતી અને અનુભવો શેર કર્યાં છે. એવા સંજોગોમાં લેખક ચેતન ભગતે કહ્યું છે કે, મેં પણ એક તબક્કે આત્મહત્યા કરી જીવન ટૂંકાવવાનું વિચાર્યું હતું. સનસનાટી ફેલાવતા નિવેદનમાં ચેતન ભગતે કહ્યું હતું કે, ફિલ્મસર્જક વિધુ વિનોદ ચોપડાએ મને જાહેરમાં પણ એટલી હદે પરેશાન કર્યો હતો કે મેં આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું.
ભગતે કહ્યું હતું કે ફિલ્મ 'થ્રી ઇડિયટ્સ'ના નિર્માણ વખતે વિધુ વિનોદ ચોપડાએ મને માનસિક રીતે ત્રસ્ત કરી નાંખ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલિઝ થઈ છે ત્યારે ચેતન ભગતે અંગ્રેજી ફિલ્મ સમીક્ષકોને સુશાંત તરફ સંવેદનશીલ વલણ દાખવવાનો અનુરોધ કર્યો છે. ખાસ તો આ સમીક્ષકોને ઓવર-સ્માર્ટ બની સાવ કચરાછાપ રિવ્યૂ ન લખવાની તેણે તાકીદ કરી છે. જોકે ફિલ્મ સમીક્ષકોએ ભગત સામે વિરોધનો સૂર આલાપ્યો છે.