શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ની સફળતા બાદ ‘ડોન’ સિક્વલમાં ત્રીજી ફિલ્મ શરૂ થવાની આતુરતાથી રાહ જોવાતી હતી. શાહરુખ ખાન સાથે જ ‘ડોન’-૩ બનવાનું નિશ્ચિત હતું અને શાહરુખે રસ લઈને તેની સ્ક્રિપ્ટ ફાઈનલ કરાવી હતી. ફિલ્મને ફલોર પર લઈ જવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે શાહરુખ ખાનની ઓચિંતી વિદાયના સમાચાર આવ્યા અને પ્રોડક્શન હાઉસે ફટાફટ નવા ડોનની શોધ પણ કરી લીધી. રિપોર્ટ્સ મુજબ, ‘ડોન’ ૩માં શાહરુખના બદલે રણવીર સિંહનો લીડ રોલ ફાઈનલ કરવામાં આવ્યો છે.
થોડા સમય અગાઉ પ્રોડ્યુસર રિતેશ સિધવાણીએ આડકતરી રીતે સ્પષ્ટતા કરી હતી કે, શાહરુખ નહીં હોય તો પણ ‘ડોન’ની સિક્વલ બનશે. કો-પ્રોડ્યુસર ફરહાન અખ્તરે અગાઉ સ્ક્રિપ્ટ ફાઈનલ સ્ટેજમાં હોવાનું સ્વીકાર્યું હતું. ફિલ્મનું પ્રોડક્શન શરૂ થાય તે પહેલાં શાહરુખની વિદાયના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ માટે શાહરુખ અને પ્રોડ્યુસર્સ વચ્ચે જેવી રીતે લાંબી બેઠકો થઈ હતી, તેવી રીતે ફિલ્મમાંથી વિદાય લેવા બાબતે પણ શાહરુખે તેમને વિશ્વસમાં લીધા હતા.
શાહરૂખનો ઈનકાર સાંભળ્યા બાદ પ્રોડ્યુસર્સની નજર રણવીર સિંહ પર ઠરી હતી. અગાઉ પણ એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનરમાં રણવીરે ફિલ્મો કરેલી છે અને પ્રોડક્શન હાઉસનો અનુભવ સારો રહ્યો છે. ડોનના રોલ માટે સૌથી પહેલી પ્રાથમિકતા એ-ગ્રેડ સ્ટારની હતી. રણવીર સિંહ આ માપદંડોમાં ફિટ બેસતો હતો. ‘ડોન’-૩ની સત્તાવાર જાહેરાત કરવા માટે રણવીર સિંહનો વીડિયો પણ તૈયાર કરાયો છે અને તેને ટૂંક સમયમાં રિલીઝ કરવા તૈયારી ચાલે છે.