બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન અને તેમની ટીમને શુક્રવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ અટકાવી હતી. તેમની પાસેથી મળેલી રૂ. 18 લાખની લકઝુરિયસ ઘડિયાળ માટે 7 લાખની ડ્યૂટી ભરાવ્યા પછી ટીમના સભ્યોને જવા દેવાયા હતા. શાહરુખની કંપની તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તાજેતરમાં કિંગ ખાન શારજહાં ઈન્ટનેશનલ બુકફેરમાં ભાગ લેવા તેની ટીમ સાથે ગયો હતો. અને શુક્રવારે મોડી રાત્રે ચાર્ટર પ્લેન દ્વારા તેની ટીમ સાથે પરત ફર્યો હતો. તેઓ એરપોર્ટની બહાર નીકળી રહ્યા હતા ત્યારે કસ્ટમ વિભાગે તેમને અટકાવીને તપાસતા લગેજમાંથી લકઝુરિયસ વોચના ખાલી ડબ્બા મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ પછી શાહરુખ તેની મેનેજર પૂજા દદલાની નીકળી ગયો હતો. જોકે તેના બોડીગાર્ડ અને ટીમના સભ્યોને રોકી દેવાયા હતા. સમગ્ર પ્રક્રિયા પૂરી થયા પછી - શનિવારે સવારે 8 વાગ્યે - કસ્ટમ અધિકારીઓએ તેમને મુક્ત કર્યા હતા. શાહરુખની લગભગ એક કલાક સુધી કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જવા દેવાયો હતો. તેની ટીમની કલાકો સુધી પૂછપરછ કરાઈ હતી.