અભિનેત્રી શિલ્પા શેટ્ટી, અભિનેત્રી બહેન શમિતા અને તેમની માતા સુનંદા શેટ્ટી સામે સમન્સ જારી થયું છે. તેમની સામે ૨૧ લાખ રૂપિયાની લોન પરત ન ચૂકવવાનો આરોપ મૂકાયો છે. મુંબઇની અંધેરી કોર્ટે ત્રણેયને ૨૮મી ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ કર્યો છે. અહેવાલ મુજબ એક ઓટોમોબાઈલ એજન્સીના માલિકે ત્રણેય વિરુદ્ધ રૂ. ૨૧ લાખની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. બિઝનેસમેનનો દાવો છે કે શિલ્પાના દિવંગત પિતાએ ૨૧ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. કરાર મુજબ, તેમણે જાન્યુઆરી ૨૦૧૭માં ૧૮ ટકા વ્યાજસહિત સમગ્ર રકમ ચૂકવવાની હતી. જોકે આ લોન પરત ચૂકવાય તે પહેલાં જ સુરેન્દ્ર શેટ્ટીનું ૧૧ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ મૃત્યુ થયું હતું. ફરિયાદીએ દાવો કર્યો છે તે અનુસાર શિલ્પા શેટ્ટી, બહેન શમિતા અને માતા સુનંદા આ લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં એટલું જ નહીં, તેમણે લોનની પરત ચૂકવણીનો પણ ઇન્કાર કર્યો છે. અહેવાલ મુજબ લોનની રકમનો ચેક સુરેન્દ્રની કંપનીના નામે આપવામાં આવ્યો હતો. બિઝનેસમેનનો દાવો છે કે સુરેન્દ્ર શેટ્ટીએ તેમની પુત્રીઓ અને પત્નીને પણ આ લોન વિશે માહિતગાર કર્યા હતા.