શ્રેયસ તલપડેને હાર્ટ એટેક, એન્જિયોપ્લાસ્ટી કરાઇ

Saturday 23rd December 2023 07:23 EST
 
 

બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને 14 ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. તેણે આખો દિવસ આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ'નું શૂટિંગ કર્યું હતું. આ પછી તેને એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો હતો. શ્રેયસની મુંબઈના અંધેરી (વેસ્ટ)ની બેલેવ્યુ હોસ્પિટલમાં સારવાર ચાલે છે. વિવિધ મેડિકલ ટેસ્ટ બાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરાઇ છે, અને હવે તેની સ્થિતિ સ્થિર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તલપડે આખો દિવસ એકદમ ઠીક હતો. શૂટિંગ પછી તે સેટ પર બધા સાથે હંસીમજાક કરતો હતો. કેટલાંક દૃશ્યો પણ શૂટ કરવામાં આવ્યાં હતાં જેમાં થોડી એક્શન હતી. શૂટિંગ પૂરું કર્યા પછી તે સાંજે ઘરે પહોંચ્યો ત્યારે તેણે પત્ની દિપ્તીને કહ્યું હતું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે. આથી તેને તરત જ હોસ્પિટલે લઈ જવાયો હતો, પરંતુ તે રસ્તામાં જ બેભાન થઈ ગયો. રાત્રે લગભગ 10 વાગ્યે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્રેયસ હાલમાં આઇસીયુમાં છે. તેની સાથે પત્ની દીપ્તિ અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર છે. તેને થોડા દિવસોમાં રજા આપવામાં આવશે, એમ હોસ્પિટલના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું. શ્રેયસ હિન્દી ફિલ્મોની સાથે મરાઠી સિનેમાનું જાણીતું નામ છે. તેણે ‘ઈકબાલ’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘ગોલમાલ રિટર્ન્સ’, ‘હાઉસફુલ2’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અલ્લુ અર્જુનની હિટ ફિલ્મ ‘પુષ્પા’માં શ્રેયસનો અવાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter