સંજય દત્તને ફેંફસાના કેન્સરનું નિદાન થયું છે તેને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું કહેવાઇ રહ્યું છે. સંજય દત્તને અમેરિકાના પાંચ વરસના વિઝા પણ મળી ગયા છે પરંતુ તે અમેરિકા સારવાર લેવા જવાના બદલે હાલ મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. વાત એમ છે કે સંજય દત્ત કેન્સરની સારવાર માટે બે કારણોસર અમેરિકા જઇ શકતો નથી. જેમાંનું એક કારણ છે કોરોના મહામારી અને બીજું કારણ છે તેના ફેંફસામાં ઝડપથી ફ્લુઇડ એકઠું થઇ રહ્યું છે. તેથી તેની સારવારમાં સમય પસાર થાય તે પરવડે એમ નથી. સંજય દત્તે ફેંસલો લીધો છે કે, તે પોતાનો ઇલાજ મુંબઇમાં જ કરાવશે. સંજય દત્ત સાથે અમેરિકા તેની પત્ની માન્યતા દત્ત, બહેન પ્રિયા દત્ત તેમજ તેનો ખાસ મિત્ર સુજીત જૈન પણ જવાનો હતો.
કહેવાય છે કે, સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો ત્યારે તેના ફેંફસામાંથી દોઢ લિટર ફ્લુઇડ કાઢ્યું હતું. સારવાર કરનાર ડોકટરે પણ જણાવ્યું હતું કે, તેણે અમેરિકા જવાની યોજના હાલ પૂરતી ટાળી દીધી છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્તે જણાવ્યું હતું કે, સંજયની ટ્રીટમેન્ટ હાલ મુંબઇમાં જ થવાની છે.