મુંબઈઃ એકટર સંજય દત્તને ફેફસાંનું કેન્સર ત્રીજા નહીં પણ ચોથા સ્ટેજનું હોવાનું જણાયું છે. સંજય દત્તના તબીબી રિપોર્ટ અનુસાર સંજુબાબાનું લંગ કેન્સર ચોથા સ્ટેજે પહોંચી ચૂક્યું છે. સંજય દત્ત થોડા દિવસ અગાઉ શ્વાસ લેવાની તકલીફને લીધે હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે અન્ય સારવારના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેમને લંગ કેન્સર છે. જે રિપોર્ટ અનુસાર સંજય દત્તનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું અને તેના ફેફસાંમાં પ્રવાહી જમા થઈ ગયું હતું. જે પ્રવાહીના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એ સમયે તબીબોએ કહ્યું હતું કે, સંજયને ટીબી અથવા કેન્સર હોઈ શકે છે. કેન્સરની બીમારીની જાણ થતાં સંજય દત્તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સને કહ્યું હતું કે તે થોડા દવસ માટે બ્રેક લેવા જઈ રહ્યો છે.
એક માહિતી અનુસાર સંજય દત્ત તેના કેન્સરની સારવાર માટે યુએસ જવા માગતો હતો, પણ તેની પાસે યુએસના વિઝા ન હોવાના લીધે તે હવે કેન્સરની સારવાર માટે સિંગાપુર જશે. દરમિયાન, રિપોર્ટ હતા કે સંજય દત્તનું કેન્સર ત્રીજા સ્ટેજનું નહીં પણ ચોથા સ્ટેજે પહોંચી ચૂક્યું છે.